મહાકુંભમાં ફરી આગઃ કલ્પવાસી ટેન્ટના સિલિન્ડરમાં લીકેજથી સર્જાઈ દુર્ઘટના
Mahakumbh Fire: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગ લાગવાની ઘટનાઓ સતત શરૂ છે. મહાકુંભ મેળામાં રવિવાર (9 ફેબ્રુઆરી) સવારે કલ્પવાસી ટેન્ટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. સેક્ટર 19 સ્થિત વટ માધવ માર્ગ દક્ષિણીમાં ઓમપ્રકાશ પાંડે સેવા સંસ્થાના કલ્પવાસી ટેન્ટમાં કર્મા પ્રયાગરાજ નિવાસી રાજેન્દ્ર જયસ્વાલ રોકાયા હતાં. વહેલી સવારે ટેન્ટની અંદર ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ગેસ લિકેજના કારણે આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની તુરંત કાર્યવાહીના કારણે આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, જે ટેન્ટમાં આગ લાગી હતી, તેનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ પણ વાંચોઃ લાલ આતંકનો અંત! છત્તીસગઢમાં ભીષણ અથડામણ બાદ 12 નક્સલી ઠાર, બે જવાનો શહીદ
બે દિવસ પહેલાં પણ લાગી હતી આગ
નોંધનીય છે કે, બે દિવસ પહેલાં (7 ફેબ્રુઆરી) પણ મહાકુંભ મેળામાં સેક્ટર-18 શંકરાચાર્ય માર્ગ પર ઈસ્કોનના કિચનમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગમાં 22થી વધુ કોટેજ (ટેન્ટ) બળીને ખાખ થયા હતા. ઘટનાસ્થળે તુરંત ફાયરબ્રિગેડ પહોંચી હતી. મહા મુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાની જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ VIDEO : મહાકુંભમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખ
આ શિબિરમાં સ્થિત મહારાજ કોટેજમાં એસી લગાવેલા હતા. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. અગાઉ 30 જાન્યુઆરીએ પણ સેક્ટર-22માં અનેક કોટેજમાં આગ લગા હતી. જેમાં 15 કોટેજ બળીને ખાખ થયા હતાં. તદુપરાંત અગાઉ સેક્ટર-2માં બે કારમાં આગ લાગતાં હડકંપ મચ્યો હતો. 19 જાન્યુઆરીએ પણ સેક્ટર-19માં શિબિરમાં મૂકેલા ઘાસચારામાં આગ લાગી હતી. જેમાં 18 કોટેજ બળી ગયા હતા.