ચંદ્રયાન-3 મિશનની કમાન 'રોકેટ વૂમન'ના હાથમાં, જાણો કોણ છે જવાબદારી સંભાળનાર રિતુ કરિધાલ
આજે ભારત ચંદ્રયાન-3ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે લોન્ચ કરશે
'રોકેટ વુમન' તરીકે ઓળખાતા સ્પેસ સાયન્ટિસ્ટ રિતુ કરિધાલ શ્રીવાસ્તવ આ મિશનને ફ્રન્ટથી લીડ કરી રહ્યાં છે
Updated: Jul 14th, 2023
આજનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર ટકેલી છે. આજે ભારત ચંદ્રયાન-3ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે લોન્ચ કરશે. ચંદ્રયાન-3 ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 'રોકેટ વુમન' તરીકે ઓળખાતા સ્પેસ સાયન્ટિસ્ટ રિતુ કરિધાલ શ્રીવાસ્તવ આ મિશનને ફ્રન્ટથી લીડ કરી રહ્યાં છે. જાણો કોણ છે રિતુ કરિધાલ, જેમને આ મહત્વપૂર્ણ મિશનની જવાબદારી સોંપવામાં આવી છે.
કોણ છે રિતુ કરિધાલ?
ચંદ્રયાન-3ના ઉતરાણની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલને સોંપવામાં આવી છે. ચંદ્રયાન 3 ના મિશન ડિરેક્ટર તરીકે રિતુ કરિધાલ તેમની ભૂમિકા ભજવશે. લખનઉમાં રહેતી રિતુ વિજ્ઞાનની દુનિયામા ભારતીય મહિલાઓની વધતી ધાકનું ઉદાહરણ છે. મંગળયાન મિશનમાં પોતાનું કૌશલ્ય દર્શાવનાર રિતુ ચંદ્રયાન-3 સાથે સફળતાની બીજી ઉડાન ભરશે. અગાઉના મિશનમાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને રિતુ કરિધાલ શ્રીવાસ્તવને આ જવાબદારી સોંપવામાં આવી છે. રિતુ મંગળયાન મિશનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. લખનૌની દીકરી રિતુ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે ચંદ્રયાન-મિશન 2માં મિશન ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.
રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર છે
રિતુ કરિધાલનો ઉછેર લખનૌમાં થયો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યું છે. વિજ્ઞાન અને અવકાશમાં રસ જોઈને રિતુએ પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં એડમિશન લીધું. આ પછી રિતુએ ઈસરોમાં નોકરી શરૂ કરી. એરોસ્પેસમાં નિષ્ણાત રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી છે. રિતુને 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે. વિવિધ મિશનમાં તેમની ભૂમિકા માટે દેશના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિકોમાં તેમનું નામ સામેલ છે. રિતુને 'રોકેટ વુમન' પણ કહેવામાં આવે છે.
રિતુએ ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે
રિતુએ તેમનું સ્કૂલિંગ નવયુગ ગર્લ્સ કોલેજમાંથી કર્યું છે. રિતુએ લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રિતુએ વર્ષ 1997માં ISRO સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. રિતુ કરિધાલે મિશન મંગળયાન અને મિશન ચંદ્રયાન-2માં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાનપણથી જ તેમને અવકાશ અને અવકાશ વિજ્ઞાનમાં રસ હતો. રિતુને મળેલા પુરસ્કારોની યાદી તેમની સિદ્ધિઓ જેટલી લાંબી છે. ડૉ એપીજે અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ, માર્સ આર્બિટર મિશન માટે ISRO ટીમ એવોર્ડ, ASI ટીમ એવોર્ડ, સોસાયટી ઓફ ઈન્ડિયન એરોસ્પેસ ટેક્નોલોજી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એરોસ્પેસ વુમન એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર રિતુ તેમની ધગશ અને કામ પ્રત્યેના જુસ્સા માટે વખણાય છે.