નેતાઓને હવે સમજાશે પ્રજાની સમસ્યા! યુપી વિધાસનભામાં ઘૂસ્યું વરસાદનું પાણી, CM યોગીએ બીજા ગેટથી જવું પડ્યું

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Lucknow Assembly

Image: Twitter


Rain Water Lodged In Lucknow Vidhansabha: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મૂશળધાર વરસાદ થયો છે. વરસાદના કારણે માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ વિધાનસભા પરિસરમાં પણ પાણી ઘુસી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભા પરિસરમાં પાણી ભરાતા મુખ્યમંત્રીને બીજા ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિધાનસભા ગેટ નંબર સાત પર પાણી ભરાઈ ગયા હતા. તેમજ સચિવાલયના રૂમોમાં પણ પાણી ઘુસી  ગયા હોવાના અહેવાલો મળ્યા છે. લખનઉ સીએમ આવાસની સામે પણ પાણી ભરાઈ ગયા હતા.

લખનઉ શહેરના અન્ય ઓફિસમાં પણ વરસાદના પાણી ભરાયા છે, જેમાં લખનઉ નગર નિગમની ઓફિસ પણ સામેલ છે. પાણી ભરાયા બાદ સપાના વરિષ્ઠ નેતા શિવપાલ સિંહ યાદવે યોગી સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે X પર પોસ્ટ કરી હતી કે, બજેટની સૌથી વધુ આવશ્યકતા ઉત્તરપ્રદેશ વિધાનસભાને છે, મૂશળધાર વરસાદમાં આ સ્થિતિના કારણે રાજ્ય હવે ભગવાન ભરોસે છે...

આ પણ વાંચોઃ પૂજા ખેડકર પર મોટી કાર્યવાહી: UPSCએ IAS પદ છીનવી લીધું અને તમામ પરીક્ષાઓ માટે લગાવ્યો પ્રતિબંધ

આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા નિઝામાબાદ આઝમગઢના સપા ધારાસભ્ય આલમ બદીને સ્કૂટરથી ઘરે જવુ પડ્યું હતું. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. લખનઉના નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન  નીકળવા માટે એલર્ટ કર્યા છે. તેમજ અસુરક્ષિત મકાનો, બિલ્ડિંગ કે વૃક્ષથી દૂર રહેવા સલાહ પણ આપી છે.

યુપી વિધાનસભા સેશનમાં નાણાકીય વર્ષ 2024-25નું પ્રથમ પૂરક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેની સાઈઝ રૂ. 12909 કરોડ છે. તદુપરાંત પેપર લીક અને લવ જિહાદ પર સરકારે કડક વલણ અપનાવી નવા કાયદાઓ પણ રજૂ કર્યા છે, જેને મંજૂરી મળી છે. વિધાનસભા સેશનના ત્રીજા દિવસે મૂશળધાર વરસાદના કારણે મુશ્કેલીઓ વધી હતી. વરસાદના પાણી વિધાનસભાના ગ્રાઉન્ડ ફ્લોર પર ફરી વળ્યા હતા.  નેતાઓને હવે સમજાશે પ્રજાની સમસ્યા! યુપી વિધાસનભામાં ઘૂસ્યું વરસાદનું પાણી, CM યોગીએ બીજા ગેટથી જવું પડ્યું 2 - image


Google NewsGoogle News