ચૂંટણી પંચે મતદાન બાદ માની બે ભૂલ, કહ્યું ગરમી પહેલા જ ચૂંટણી કરાવી લેવાની જરૂર હતી

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
ચૂંટણી પંચે મતદાન બાદ માની બે ભૂલ, કહ્યું ગરમી પહેલા જ ચૂંટણી કરાવી લેવાની જરૂર હતી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. 

ચૂંટણી પંચે મતદાન બાદ સ્વીકારી આ ભૂલ

મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે, 'સોમવાર અને શુક્રવારે મતદાન ન થવું જોઈએ કારણ કે આ દિવસો વચ્ચે લાંબો અંતર છે. તેમજ ઉનાળા પહેલા ચૂંટણી થવી જોઈએ એ બાબત પણ સ્વીકારવામાં આવી હતી. અમે વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ કર્યું હતું. પરંતુ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ મોટી હોવાથી અમે આ વખતે તે કરી શક્યા નથી.'

આપણે મતદારોનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, આપણે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ તમામ G7 દેશોના મતદારો કરતાં 1.5 ગણા અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણા છે. 

2019માં 540ની સરખામણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં 39 પુનઃ મતદાન જોયા છે. આ વખતે પણ 39 માંથી 25 પુનઃ મતદાન માત્ર બે રાજ્યોમાં જ થયું હતું. આ ઉપરાંત આ સામાન્ય ચૂંટણી એકમાત્ર છે જેમાં હિંસા જોવા મળી નથી. આ અમારી બે વર્ષની તૈયારીનું પરિણામ છે.

CECએ ચૂંટણી પરિણામો પર કરી વાત 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે મતગણતરી પ્રક્રિયા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે સમગ્ર મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે મજબૂત છે. તે ઘડિયાળની સટીકતા જેવું જ કામ કરે છે. મત ગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટથી થશે. ત્યારબાદ અડધા કલાક પછી જ ઈવીએમની ગણતરી શરૂ કરવામાં આવશે. 

ચૂંટણીમાંથી બે શીખ પણ મળી 

ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે આ ચૂંટણીમાંથી બે પાઠ શીખ્યા. પ્રથમ- ચૂંટણીમાંથી સૌથી મોટી શીખ એ છે કે મતદાન પ્રક્રિયા ઉનાળા પહેલા જ પૂરી કરી લેવી જોઈએ. અને બીજું, ચૂંટણી પંચ ખોટી મતદાર યાદીઓ અને મતદાનના આંકડાઓ વિશેની ખોટી વાતોને સમજવામાં નિષ્ફળ ગયું. જેના માટે વધુ તૈયારીઓ કરવી પડશે. 

ચૂંટણી પ્રક્રિયા પૂરી થતા બોલાવી પ્રેસ કોન્ફરન્સ 

એવું પહેલીવાર બન્યું હશે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ આયોગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હોય. 19 એપ્રિલથી શરૂ થયેલી સાત તબક્કાની ચૂંટણી 1 જૂને પૂરી થઈ હતી. 2019ની સંસદીય ચૂંટણી સુધી, નાયબ ચૂંટણી કમિશનર મતદાનના દરેક તબક્કા પછી મીડિયા બ્રીફિંગ કરતા હતા, પરંતુ તે પછી આ પ્રથા નાબૂદ કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે મતદાન બાદ માની બે ભૂલ, કહ્યું ગરમી પહેલા જ ચૂંટણી કરાવી લેવાની જરૂર હતી 2 - image


Google NewsGoogle News