I.N.D.I.A ગઠબંધનની રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ યાદવે ભાષણ વિના પરત જવું પડ્યું

Updated: May 19th, 2024


Google NewsGoogle News
I.N.D.I.A ગઠબંધનની રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ યાદવે ભાષણ વિના પરત જવું પડ્યું 1 - image


Lok Sabha Elections 2024: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ભીડ બેકાબૂ થતાં નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. લોકો સુરક્ષા ઘેરો તોડીને સ્ટેજની એકદમ નજીક પહોંચી ગયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાષણ આપ્યા વિના જ રવાના થઈ જવું પડ્યું હતું.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત ચૂંટણી બેઠક યોજાઈ હતી.

પ્રયાગરાજ જિલ્લામાં બે સંસદીય મતવિસ્તાર ફૂલપુર અને પ્રયાગરાજ છે. રવિવારે (19મી મે) બંને સંસદીય વિસ્તારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સંયુક્ત ચૂંટણી રેલી હતી. ફુલપુરની પંડિલા સભામાં હંગામો અને નાસભાગના કારણે બંને નેતાઓને કંઈ પણ બોલ્યા વગર પરત ફરવું પડ્યું હતું. બાદમાં બંને નેતાઓ પ્રયાગરાજ સંસદીય વિસ્તારના મુંગારીમાં આયોજિત બેઠકમાં પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું

મુંગારીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 લોકોને અબજોપતિ બનાવ્યા છે, I.N.D.I.A ગઠબંધનની સરકાર કરોડો લોકોને લાખોપતિ બનાવશે.તમામ ગરીબોની યાદી બનાવવામાં આવશે.'

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે અને અમે કરોડો મહિલાઓના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા અને દર મહિને 8500 રૂપિયા તરત જ જમા કરાવીશું. અમે ભારતના ખેડૂતોને અનાજ, બટાકા, શેરડી અને કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી આપવા જઈ રહ્યા છીએ. અમે તેમની લોન માફ કરીશું.'


Google NewsGoogle News