'જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના નામે અનામત નહીં', વડાપ્રધાન મોદીએ બંગાળમાં આપી 5 ગેરન્ટી
Lok Sabha Elections 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (12મી મે) પશ્ચિમ બંગાળના બેરકપુર અને હુગલીમાં ચૂંટણી રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી, તૃણમૂલ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસ અને તૃણમૂલએ મત બેન્કની રાજનીતિ સામે આત્મસમર્પણ કર્યું છે.' બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પાંચ ગેરન્ટી પણ આપી હતી. આ ઉપરાંત તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં આ પાંચ ગેરન્ટી આપી
પાંચ ગેરન્ટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પહેલી ગેરન્ટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. બીજી ગેરન્ટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી કોઈ પણ સીએએને રદ કરી શકશે નહીં. ત્રીજી ગેરન્ટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તમને રામનવમીની ઉજવણી કરતા કોઈ રોકી શકશે નહીં. ચોથી ગેરન્ટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી રામમંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઈ પલટાવી શકશે નહીં. પાંચમી ગેરન્ટી એ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને એબીસી માટે અનામત બંધ થશે નહીં.'
मैं डंके की चोट पर बंगाल को ये पांच गारंटी दे रहा हूं… pic.twitter.com/r8kIRt3Pe9
— Narendra Modi (@narendramodi) May 12, 2024
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 'દેશની આઝાદી પછી કોંગ્રેસ પરિવારે 50 વર્ષ સુધી સરકાર ચલાવી, પરંતુ કોંગ્રેસના શાસનમાં પૂર્વ ભારતમાં માત્ર ગરીબી અને પલાયન મળ્યું. બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય, આંધ્રપ્રદેશ હોય. કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધનના પક્ષોએ પૂર્વ ભારતને પછાત છોડી દીધું.'
વડાપ્રધાન મોદીએ સંદેશખાલીનો ઉલ્લેખ કર્યો
સંદેશખાલીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'સંદેશખાલીના ગુનેગારને પહેલા તૃણમૂલની પોલીસે બચાવ્યો અને હવે તૃણમૂલ નવો ખેલ શરૂ કર્યો છે. તૃણમૂલના ગુંડા સંદેશખાલીની બહેનોને ડરાવી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે, કારણ કે જુલમ કરનારનું નામ શાહજહાં શેખ છે.
રામમંદિર વિશે શું બોલ્યા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'આજે સ્થિતિ એવી છે કે બંગાળમાં આસ્થાનું પાલન કરવું પણ ગુનો બની ગયો છે. બંગાળની તૃણમૂલ સરકાર રામનું નામ લેવા દેતી નથી. તૃણમૂલ સરકાર બંગાળમાં રામનવમીની ઉજવણી કરવાની મંજૂરી આપતી નથી. કોંગ્રેસ અને ડાબેરીઓએ પણ રામમંદિર સામે મોરચો ખોલ્યો છે.'