સોનિયા ગાંધી રાયબરેલી બેઠક છોડશે? આ બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે પ્રસ્તાવ પાસ કરાયો
ઈન્દિરા ગાંધી પણ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા
ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પર કોંગ્રેસનો 66 વર્ષથી દબદબો
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તમામ રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આ જ ક્રમમાં તેલંગણા કોંગ્રેસે (Telangana Congress) પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને તેલંગણાથી ચૂંટણી લડાવવા અંગે પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવ બાદ એવી અટકળો ચાલી રહી છે કે, સોનિયા ગાંધી રાયબરેલી (Raebareli) બેઠક છોડી શકે છે.
સોનિયા ગાંધી મેડક બેઠક પરથી ચૂંટણી લડશે ?
સોનિયા ગાંધી તેલંગણાની મેડક બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરે તેવા અહેવાલો વહેતા થયા છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી આ જ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. કોંગ્રેસ નેતા મધુ યાક્ષી ગૌડાએ કહ્યું કે, સોનિયા ગાંધી તેલંગણાથી ચૂંટણી લડે તે માટે અમે પ્રસ્તાવ પસાર કર્યો છે. આનાથી પાર્ટીને આખા દક્ષિણ ભારતમાં ફાયદો થશે.
રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ
સોનિયા ગાંધી હાલ રાયબરેલીના સાંસદ છે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ છે. સોનિયા ગાંધી આ બેઠક પર છેલ્લી 4 ચૂંટણીથી જીતતા આવ્યા છે. તમામ ચૂંટણીમાં તેમને 50 ટકાથી વધુ મતો મળ્યા છે. આ બેઠક ઐતિહાસિક રીતે કોંગ્રેસ પાસે જ રહેલી છે. આ બેઠક અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી યોજાઈ છે, જેમાં 3 ચૂંટણી સિવાય બાકીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ જીત્યું છે. દેશના 72 વર્ષની ચૂંટણી ઈતિહાસમાં ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક 66 વર્ષથી કોંગ્રેસ પાસે રહી છે.