અમે જીત્યાં તો ED-CBI ને સંસદના દાયરામાં લાવીશું..' ચૂંટણી ઢંઢેરામાં આ પાર્ટીએ કર્યા મોટા વાયદા
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક પાર્ટી ચૂંટણી ઢંઢેરા (મેનિફેસ્ટો)ની જાહેરાત કરી રહી છે. શનિવારે જ્યાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે ભારતીય કોમ્યનિસ્ટ પાર્ટી (CPI)એ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. જેમાં પાર્ટીએ વચન આપ્યું હતું કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો ઉદ્દેશ્ય ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓને સંસદના દાયરામાં લાવવાનો છે જેથી વહીવટી તંત્ર તપાસ એજન્સીઓનો દુરુપયોગ ન કરી શકે.
અગ્નિપથ યોજનાને સમાપ્ત કરવાનું વચન આપ્યું
આ ઉપરાંત પાર્ટીએ વધેલા વેલ્થ ટેક્સ, વારસાગત કર અને કોર્પોરેટ ટેક્સ, અનામત પરની 50 ટકાની મર્યાદાને દૂર કરવા, મહિલા આરક્ષણનો તાત્કાલિક અમલ, જાતિ મુજબની ગણતરી, નાગરિકતા સુધારો અધિનિયમ રદ કરવાનું વચન આપ્યું છે. આ સિવાય પાર્ટીએ મનરેગા હેઠળ લઘુત્તમ વેતન રૂ. 700 આપવા, એક કેલેન્ડર વર્ષમાં ઉપલબ્ધ કામકાજના દિવસોની સંખ્યા વધારીને 200 દિવસ કરવા, અગ્નિપથ યોજનાનો ખતમ કરવા અને જૂની પેન્શન યોજનાને ફરીથી શરુ કરવાનો પણ વાયદો આપ્યો છે.
આ વચનો પણ આપ્યા હતા
ચૂંટણી પંચની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે, પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકોમાં સરકારની દખલગીરી દૂર કરવાનું અને રાજ્યપાલના પદને નાબૂદ કરવા માટે લડવાનું પણ વચન આપ્યું છે. નીતિ આયોગને નાબૂદ કરવાનું, આયોજન પંચને પુનઃસ્થાપિત કરવાનું, પાઠ્યપુસ્તકોમાં કરાયેલા ફેરફારોને સમાપ્ત કરવાનું અને નવી શિક્ષણ નીતિને સમગ્ર દેશ માટે શિક્ષણના લોકો-મૈત્રીપૂર્ણ મોડેલ સાથે બદલવાનું પણ વચન આપવામાં આવ્યું છે.