'તમે ભગવાન છો કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દો...' RSS પ્રમુખ મોહન ભાગવત આવું કેમ બોલ્યા ?

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
'તમે ભગવાન છો કે નહીં તેનો નિર્ણય લોકોને કરવા દો...' RSS પ્રમુખ મોહન ભાગવત આવું કેમ બોલ્યા ? 1 - image


Image: Facebook

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે કોણ સારું કાર્ય કરી રહ્યું છે કે નહીં, તે નક્કી કરવું લોકોનું કામ છે. કોઈએ પણ પોતાને ભગવાન માની લેવું જોઈએ નહીં. આ નિર્ણય તો લોકોને કરવા દેવો જોઈએ કે તેઓ કોઈને શું માને છે. મોહન ભાગવત મણિપુરમાં બાળકોના શિક્ષણ માટે કામ કરનાર શંકર દિનકર કાણેની જન્મશતાબ્દી વર્ષમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી. કાણેને મણિપુરના વિદ્યાર્થીઓ માટે મહારાષ્ટ્રમાં ભણવા અને રહેવાની વ્યવસ્થા કરવા માટે ઓળખવામાં આવે છે. તેઓ પોતાના મૃત્યુ સુધી ગરીબ પરિવારોથી આવતાં બાળકોના શિક્ષણની વ્યવસ્થામાં કાર્ય કરતાં રહ્યા. 

મોહન ભાગવતે ભૈયાજી કાણેને યાદ કરતાં કહ્યું, 'આપણે પોતાના જીવનમાં શક્ય હોય તેટલા સારા કાર્ય કરવાં જોઈએ. આપણે એ ન વિચારવું જોઈએ કે આપણે ચમકીશું કે પછી નિષ્ફળ રહીશું. પોતાના કાર્યથી કોઈ પણ સ્મરણીય વ્યક્તિ બની શકે છે પરંતુ આપણે તે સ્તર સુધી પહોંચીશું કે નહીં આ નિર્ણય લોકોને કરવા દેવો જોઈએ. પોતે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં. આપણે એ દાવો કરવો જોઈએ નહીં કે આપણે પોતે ભગવાન બની ચૂક્યા છીએ. ભૈયાજી કાણેએ આપણી સામે આ આદર્શ પ્રસ્તુત કર્યા હતાં.'

આરએસએસ પ્રમુખે આ દરમિયાન મણિપુરની સ્થિતિ પર પણ વાત કરી અને કહ્યું કે સ્થિતિઓ ઠીક નથી. મોહન ભાગવતે કહ્યું, 'ત્યાં સુરક્ષાની ગેરંટી નથી. સ્થાનિક લોકોને પોતાની સુરક્ષાની ચિંતા છે. ત્યાં જે લોકો વેપાર કે સામાજિક કાર્ય માટે ગયા છે, તેમના માટે સ્થિતિ વધુ પડકારપૂર્ણ છે. પરંતુ આવી સ્થિતિમાં પણ આરએસએસના કાર્યકર્તા ત્યાં મજબૂત અને સાથે અડગ છે. સંઘના કાર્યકર્તા ત્યાં કોઈ પક્ષપાત વિના તમામના હિતમાં કાર્ય કરી રહ્યા છે.' મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયના લોકો વચ્ચે છેલ્લા લગભગ એક વર્ષથી ભીષણ હિંસાનો સમય ચાલુ છે અને સ્થિતિ તણાવપૂર્ણ રહે છે. આ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘરોથી પલાયન થવું પડ્યું છે.

તેમણે એ વાત પર જોર આપ્યું કે મણિપુરમાં વિપરીત સ્થિતિ બાદ પણ સંઘના કાર્યકર્તા ત્યાં અડગ છે. સ્થિતિને સામાન્ય બનાવવા માટે પૂરી સક્રિયતા સાથે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યું, 'એનજીઓ દરેક બાબત સંભાળી શકતાં નથી પરંતુ સંઘ જે કંઈ પણ શક્ય હોય છે, તે કરે છે. સ્વયંસેવક ત્યાં બન્ને પક્ષોની વચ્ચે સંવાદમાં ભૂમિકા અદા કરે છે અને તેમનો વિશ્વાસ જીતે છે.' તેમણે કહ્યું કે આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે એવું ભારત બનાવીએ જે દુનિયાના પડકારોને ઘટાડે. આ આપણે ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે જીવનમાં કાણેજી જેવી હસ્તીઓની તપશ્ચર્યાના સિદ્ધાંતનું પાલન થાય. 


Google NewsGoogle News