લિજેંડ ફલાઇટ કેસ- ટુરિસ્ટ તરીકે નિકારાગુઆ જઇ રહયા હોવાનો પ્રવાસીઓનો દાવો

પ્રવાસીઓની પુછપરછમાં બે સ્થાનિક એજન્ટોના નામ ખુલ્યા

ફલાઇટના કુલ૨૭૬માંથી ૬૫ પ્રવાસીઓ ગુજરાતી હતા.

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
લિજેંડ ફલાઇટ કેસ- ટુરિસ્ટ તરીકે નિકારાગુઆ  જઇ રહયા હોવાનો પ્રવાસીઓનો દાવો 1 - image


નવી દિલ્હી,૩૦ ડિસેમ્બર,૨૦૨૩,શનિવાર 

ફ્રાંસમાં માનવ તસ્કરીની શંકાના આધારે ૪ દિવસ અટકાવવામાં આવેલી રોમાનિયાની ફ્લાઇટ તાજેતરમાં મુંબઇ પહોંચી હતી. ફલાઇટમાંથી ૨૭૬ પ્રવાસીઓ ઉતર્યા હતા. જેમાંથી ૨૫ લોકોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સીઆઇડી દ્વારા શુક્રવાર સુધીમાં લેજેન્ડ એરલાઇન્સની નિકારાગુઆ જનારી ફલાઇટના ૨૧ પ્રવાસીઓનું નિવેદન નોંધવામાં આવ્યા છે.

જેમાંના કેટલાક ચાર્ટડ ફલાઇટમાં કેમ મુસાફરી કરતા હતા તે જણાવી શકયા ન હતા. અમૂક યાત્રીઓએ ટુરિસ્ટ તરીકે નિકારાગુઆ જઇ રહયા હોવાનો દાવો કર્યો હતો. ખાસ કરીને નિકારાગુઆના દર્શનિય સ્થળો જોવા ઇચ્છૂક હતા. કેટલાક પાસે ટુરિસ્ટ વિઝા પણ હતા. કેટલાક પાસે કાયદેસરના દસ્તાવેજો પણ સાથે હતા. જો કે તેઓ ચાર્ટડ ફલાઇટમાં કેવી રીતે મુસાફરી શરુ કરી તે જણાવવા અસમર્થ જણાતા હતા.

લિજેંડ ફલાઇટ કેસ- ટુરિસ્ટ તરીકે નિકારાગુઆ  જઇ રહયા હોવાનો પ્રવાસીઓનો દાવો 2 - image

ફલાઇટમાં બેસવા માટે એજન્ટને મોટી રકમ  આપી તે જણાવી શકયા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવાસીઓ સાથેની પુછપરછમાં બે સ્થાનિક એજન્ટોના પણ નામ ખુલ્યા છે. જેઓ મેકિસકોના રસ્તે અમેરિકા લઇ જવા માટે પ્રતિ વ્યકિત ૫૦ લાખ કે તેનાથી પણ વધારે વસૂલ કર્યા હતા. ફલાઇટમાં સૌ એકલા જ હતા તેમની સાથે બીજા કોઇ ન હતા. ફલાઇટના પ્રવાસીઓમાં નાબાલિગનો પણ સમાવેશ થતો હતો. ૨૭૬માંથી કુલ ૬૫ પ્રવાસીઓ ગુજરાતી હતા. 

૨૬ ડિસેમ્બરે ફલાઇટ મુંબઇમાં લેન્ડ થઇ એ પછી ૨૮ ડિસેમ્બરે ૨૧ પ્રવાસીઓ ગુજરાત પાછા ફર્યા હતા.એજન્ટો વિરુધ બનાવટી દસ્તાવેજના પુરાવા મળે કે પ્રવાસીઓ ફરિયાદ કરે તો તેના આધારે કાનુની કાર્યવાહી થઇ શકે છે. ગુજરાતમાં અવૈધ રીતે વિદેશ મોકલવાની કબૂતરબાજીના કિસ્સાઓ વધતા જાય છે. ૧૫ ડિસેમ્બર પછી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાંથી ૮ માઇગ્રેશન એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કાર્યવાહી ફ્રાંસમાં લીજેંડ એરલાઇન્સને રોકવામાં આવી તે પહેલા થઇ હતી.



Google NewsGoogle News