જાણો, હોળી નિમિત્તે ભરાતા પ્રેમીઓના ભગોરિયા મેળા વિશે, જયાં યુવક યુવતીઓ ભાગીને વસાવે છે ઘર સંસાર
ભોપાલ,18 માર્ચ,2022,શુક્રવાર
હોળી તહેવારના દિવસે મધ્યપ્રદેશના ઝાબુંઆ, માલવા, ખરગોન અને બસ્તર જેવા આદિવાસી વસ્તી ઘરાવતા વિસ્તારોમાં ખાસ પ્રકારનો મેળો ભરાય છે જેને ભગોરીયો મેળો કહેવામાં આવે છે. આ વિસ્તારના હાટ બજાર મેળાનું સ્વરુપ લઇ લે છે. આ મેળામાં એક બીજાની આંખમાં વસી ગયા હોય એવા બે યુવક યુવતીઓ ભાગીને ઘર સંસાર વસાવે છે. આથી આ મેળાનું નામ ભગોરીયો મેળો પડયું છે. જો કે ભણેલા ગણેલા યુવક યુવતીઓ ભગોરીયા મેળામાં માનતા નથી. માત્ર પરંપરા મુજબ આદિવાસી જીવન જીવતા યુવાઓ જ ભાગ લે છે.
પ્રેમીઓ ભગોરીયા મેળાની રાહ જોઇને બેઠા હોય છે
આ મેળામાં યુવક યુવતીઓ પરંપરાગત કપડા પહેરીને સજી થજીને આવે છે. લોકો એક બીજાને હોળીનાં રંગથી રંગે છે. આમ તો એક બીજાને ઓળખતા હોય કે પ્રેમ કરતા હોય એવા યુવક યુવતીઓ ભગોરીયા મેળાની રાહ જોઇને બેઠા હોય છે.
બંને એક બીજાના જીવનસાથી બનવા માગે છે કે નહી તેની ચકાસણી પાનથી કરવામાં આવે છે. છોકરો આવીને છોકરીને પાન ખવડાવે છે જો છોકરી આ પાન ખાઇ લે તો હા સમજવામાં આવે છે. ત્યાર બાદ ભગોરીયા મેળામાંથી બંને ભાગી જાય છે. આ ઉપરાંત છોકરો છોકરીના ગાલ પર ગુલાબી રંગ લગાવી દે અને તેના બદલામાં છોકરી પણ છોકરાના ગાલ ગુલાબી રંગથી રંગે તો બંનેનો સંબંધ પાકો સમજવામાં આવે છે.
આ રીતે ભગોરીયો મેળો નામ લોકબોલીમાં પ્રચલિત બન્યું
જો કે ભગોરીયા મેળા અંગેના પુસ્તકોમાં મળતા વર્ણન મુજબ ભગોરીયાએ રાજા ભોજના જમાનામાં ભરાતા હાટોને ભગોરીયા કહેવામાં આવતા હતા. ભોજરાજાનું અનુકરણ કરીને ભીલ રાજા કાસૂમાર અને બાલૂને પોતાના ભાગોર નગરમાં વિશાળ મેળાઓ અને હાટનું આયોજન કર્યુ જેમાં જે હાટ અને મેળાઓને ભાગોરીયા તરીકે પ્રસિધ બન્યા છે.
આજે આ ઇતિહાસ ભૂસાઇ ગયો છે જયારે યુવક યુવતીઓ પોતાની મરજીથી ભાગીને લગ્ન કરતા હોવાથી ભગોરીયો મેળો લોકબોલીમાં પ્રચલિત બન્યો છે. આદિવાસી યુવાનો કાળા ચશ્મા પહેરીને આવે છે.