મમતા બેનરજીનો આરજી કર હોસ્પિટલમાં હડતાલ ખતમ કરવાનો પ્લાન ફેલ, ડૉક્ટરોએ મોકલ્યો આ સંદેશ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
Doctor Protest



Kolkata Doctor Protest : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે (10 સપ્ટેમ્બર) આરજી હોસ્પિટલમાં હડતાળ ખતમ કરવા વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને રાજ્ય સચિવાલયમાં બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. આ સાથે સત્તાવાર ઈમેલ દ્વારા આ અંગે તેમને જાણ કરવામાં આવી હતી. જેમાં સરકારે તેમને સંદેશ આપ્યો હતો કે, શક્ય હોય તો આજે નબન્ના આવો, સીએમ મમતા બેનરજી ત્યાં તેમની રાહ જોઈ રહ્યા છે. જો કે, જુનિયર ડોક્ટરોએ તેને વાંધાજનક ઈમેલ ગણાવ્યો છે.

ડોક્ટરોએ ઇમેલને વાંધાજનક ગણાવ્યો

બંગાળ સરકારના ઇમેલને વાંધાજનક ગણાવતા ડોક્ટરોએ કહ્યું કે, 'અમને ખૂબ જ આશ્ચર્યજનક મેલ મળ્યો છે. અમારી સરકાર પાસે પાંચ માગણીઓ હતી, જેમાં ડીએચએસ, ડીએમઇ અને આરોગ્ય સચિવને હટાવવાની માંગનો સમાવેશ થાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે સચિવને અમે હટાવવાની માંગ કરી હતી તેમણે અમને મેઈલ કર્યો છે.'

આ પણ વાંચોઃ શું ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડશે NCP? મહારાષ્ટ્રમાં ફરી અટકળો તેજ, આ 5 કારણો જવાબદાર

સંવાદ માટે હંમેશા તૈયાર છીએઃ પ્રદર્શનકારી ડોકટરો

આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતી વખતે, ડોકટરોએ કહ્યું કે, "અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ આરોગ્ય સચિવે અમને મેલ મોકલવો તે અમારા માટે ખૂબ જ અપમાનજનક છે. આ સ્થિતિમાં અમને લાગે છે કે વાતચીત માટે કોઈ અવકાશ નથી. જો મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ઈ-મેલ મળશે તો અમે ચોક્કસપણે નિર્ણય લઇશું કે મીટિંગમાં જવું કે નહીં."

સીએમએ પાંચ વાગ્યા સુધી રાહ જોઈ

પશ્ચિમ બંગાળના મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ આ અંગે કહ્યું કે, 'ગઈકાલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પ્રદર્શનકારી ડોક્ટરો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરે. મુખ્યમંત્રી અને સરકારે સાંજે 5 વાગ્યા સુધી તેમની રાહ જોઈ. આ પછી, અમારા વહીવટી અધિકારીઓએ નક્કી કર્યું કે 10 ડોકટરો આવીને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી આ અંગે ઉકેલ લાવી શકે છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં ભાજપે બે મહત્ત્વની બેઠક પર ઉતાર્યા મુસ્લિમ ઉમેદવાર, સમજો રાજકીય ગણિત

ડોક્ટરો કામ પર પાછા ન ફર્યા

મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, 'અમને જાણવા મળ્યું કે પ્રદર્શનકારી ડોકટરો કામ પર પાછા ફર્યા નથી. જે પછી સાંજે 6.10 વાગ્યે આરોગ્ય સચિવે તેમને એક ઈમેલ મોકલીને નબન્ના આવવા કહ્યું હતું. તે સમયે પણ, મુખ્યમંત્રીએ 7.30 વાગ્યા સુધી રાહ જોઇ પરંતુ ડોકટરો તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. તેઓ હંમેશાથી જુનિયર ડોકટરોને તેમની સેવામાં પાછા ફરવા વિનંતી કરતા આવ્યા છે. 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમાં 9 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી થઇ હતી. તે દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, 'ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે તેમને પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરીશું. જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.' જે પછી સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો કે પોલીસ એ સુનિશ્ચિત કરશે કે અલગ ડ્યુટી રૂમ, શૌચાલયની સુવિધા, સીસીટીવી કેમેરાની સ્થાપના સહિત તમામ ડોકટરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી શરતો બનાવવામાં આવે.


Google NewsGoogle News