જાણો, ભારતમાં કેવી રીતે આવે છે મોન્સૂન ? અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ફાંટા લાવે છે વરસાદ
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના બે ફાંટાઓ છેવટે એક રસ થઇ જાય છે
બંગાળની ખાડીનો ફાંટો બંગાળ, બિહાર આસામ અને પૂર્વોત્તરથી આગળ જાય છે
નવી દિલ્હી, 8 જૂન,2023, ગુરુવાર
ભારતમાં નૈઋત્યનું મોન્સૂન કેરલના કાંઠે આવી પહોંચ્યું છે. આ વખતે ચોમાસુ એક અઠવાડીયું મોડું શરુ થયું છે. બિપર જોય વાવાઝોડું આકાર લઇ રહયું હોવાથી ચોમાસામાં વિક્ષેપ ઉભો થઇ શકે છે એવું કેટલાક હવામાન શાસ્ત્રીઓનું માનવું છે. ભારતમાં વાર્ષિક વરસાદના 80 ટકા જેટલો વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. ભારતના અર્થતંત્ર પર ચોમાસાની સારી કે માઠી અસર થાય છે આથી સામાન્ય જનથી માંડીને સરકાર પણ જેની આતૂરતાથી રાહ જુએ છે તે મૌન્સૂન કેવી સર્જાય છે તે જાણવું રસપ્રદ છે.
ઉનાળાની ઋતુમાં હિંદમહાસાગરમાં સૂર્ય વિષુવવૃત રેખાની ઉપર હોય છે ત્યારે સમુદ્રનું તાપમાન વધે છે. આથી સમુદ્રની ઉપરની સપાટીનું તાપમાન ૩૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે. એ સમયે જમીન વિસ્તારનું સરેરાશ તાપમાન ૪૦ થી માંડીને ૪૫ સુધીનું હોય છે. આથી હિંદ મહાસાગરના દક્ષિણ ભાગમાંથી ભેજવાળી મોન્સૂન હવા ભારત તરફ વહેવાની શરુ થાય છે. આ દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારનું તાપમાન સમુદ્રની સપાટી કરતા વધારે હોય છે.
આથી સમુદ્રની ભેજવાળી હવા વેગ પકડીને જમીન તરફ આવે છે. આ હવા સમુદ્રની વરાળમાં રહેલા જળકણોને શોષીને ઉપરની તરફ ગતિ કરી વરસાદ સ્વરુપે વરસી પડે છે. દક્ષિણ પશ્ચીમ મોન્સૂન પવનો ભારતના કાંઠે આવે ત્યારે તે કુદરતી રીતે જ બે ફાંટામાં વહેંચાય છે. એક ફાંટો અરબી સમુદ્ર તરફ અને બીજો ફાંટો બંગાળની ખાડી તરફ જાય છે. અરબી સમુદ્ર તરફથી આવતી ભેજવાળી હવા મુંબઇ, ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધે છે. બંગાળની ખાડીવાળો ફાંટો જો સંજોગો અનુકૂળ હોય તો જુનના પ્રથમ સપ્તાહમાં અસમ સુધી ફેલાઇ જાય છે.
બંગાળની ખાડીથી પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વોત્તર થઇને હિમાલયને ટકરાય છે. હિમાલય આડો આવવાથી પવનો પશ્ચીમ તરફ વળીને ઉત્તર ભારતના ગંગીય ક્ષેત્રમાં ફેલાઇ જાય છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે જો હિમાલય ના હોત તો ઉત્તર ભારતના મેદાની વિસ્તારો વરસાદ વગર વંચિત રહી ગયા હોત. આથી જ તો હિમાલય જનજીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જો કે ઘણી વાર અરબી સમુદ્ર તરફ ચોમાસુ પાવરફૂલ હોય તો બંગાળની ખાડી તરફ નબળું પણ રહે છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના બે ફાંટાઓ છેવટે એક રસ થઇ જાય છે. નવાઇની વાત તો એ છે કે દિલ્હીમાં બંગાળની ખાડીમાંથી આવતા દક્ષિણ પવનોથી તો કયારેક મોન્સૂન પૂર્વ દિશામાંથી આવે છે. આમ જવા જઇએ તો ભારતમાં મોન્સૂનનું આગમન કેરલ નહી પરંતુ આંદામાન નિકોબારથી થાય છે.
મે ના બીજા સપ્તાહમાં આ દ્રીપ સમૂહો પર પ્રથમ ચોમાસું દેખાય છે. ત્યાર પછી ૧ જુન આસપાસ કેરલના કાંઠે આગમન થાય છે. ભારતના પશ્ચીમ તટ અને પૂર્વોતરના તટિય રાજયોમાં સરેરાશ ૨૦૦ થી માંડીને ૧ હજાર સેમી સુધીનો વરસાદ પડે છે. ભારતમાં થતા કુલ વરસાદનો ૮૦ ટકા વરસાદ ચોમાસામાં થાય છે.