ખેડૂતોની માંગ પર વિચાર કરે કેન્દ્ર સરકાર, આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટેમાં અરજી દાખલ

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
ખેડૂતોની માંગ પર વિચાર કરે કેન્દ્ર સરકાર, આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટેમાં અરજી દાખલ 1 - image


Farmers Protest : ખેડૂત આંદોલનને લઈને હજારની સંખ્યામાં ખેડૂતો શંભૂ બોર્ડર પર ઉમટ્યા છે અને દિલ્હી કૂચના પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે, સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને અરજી દાખલ કરાઈ છે. અરજીમાં માંગ કરાઈ છે કે સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે. આ સિવાય, ખેડૂતોની માંગ પર સરકારને વિચાર કરવા માટે પણ કહેવાયું છે. આ અગાઉ હાઈકોર્ટમાં પણ એક અરજી થઈ હતી.

સરકારો પોતાની જવાબદારી નિભાવવાના બદલે કોર્ટનો ઉપયોગ કરી રહી છેઃ હાઈકોર્ટ

ખેડૂત આંદોલનમાં પ્રદર્શનકારીઓના જેસીબી અને મોડિફાઈડ ટ્રેક્ટરોના ઉપયોગથી કાયદો વ્યવસ્થા બગડવાની દલીલ આપતા હરિયાણા અને કેન્દ્ર સરકાર તરફથી દાખલ અરજી પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે, સરકાર પોતાની જવાબદારી નિભાવવાના બદલે કોર્ટનો ઉપયોગ કરવામાં લાગી છે. તમામ આ મામલે રાજનીતિ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા

ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની 'દિલ્હી ચલો' કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર 62 વર્ષ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર 8 એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.

ખેડૂત સંગઠને શોક વ્યક્ત કર્યો હતો

ખેડૂત સંગઠને દર્શન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંગઠને મૃતક ખેડૂતના પરિવારને વળતરની માંગ કરી છે. સંગઠનના જિલ્લા મહાસચિવ રેશમ સિંહે કહ્યું કે, સરકારે ખેડૂતોને સરહદ પર મરતા અટકાવવા તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ.


Google NewsGoogle News