રાહુલ ગાંધીને જીતવું મુશ્કેલ બન્યું! જાણો વાયનાડ બેઠક પર CPI અને ભાજપે શું કર્યો ખેલ?

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીને જીતવું મુશ્કેલ બન્યું! જાણો વાયનાડ બેઠક પર CPI અને ભાજપે શું કર્યો ખેલ? 1 - image

Lok Sabha Elections 2024 : દેશભરમાં લોકસભા ચૂંટણીની ભરપુર દોડધામ જોવા મળી રહી છે. જે બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે, તે મતક્ષેત્રમાં પ્રચાર અભિયાન વેગીલુ બની ગયું છે. ત્યારે કોંગ્રેસની સૌથી સુરક્ષિત બેઠક વાયનાડમાં પણ મોટો ખેલ શરૂ થતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. આ બેઠક પર I.N.D.I.A ગઠબંધનમાં સામેલ સીપીઆઈએ પણ મજબૂત ઉમેદવારને ઉતારી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. એટલું જ નહીં ભાજપે પણ દમદાર ઉમેદવાર ઉતારતા વાયનાડની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ શરૂ થઈ ગયો છે.

CPIએ એની રાજાને ઉમેદવાર બનાવ્યા

અગાઉ એવી અટકળો સામે આવી હતી કે, ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ CPI વાયનાડ (Wayanad Election) પરથી કોઈ નબળા ઉમેદવારને મેદાનમાં ઉતારશે, પરંતુ સીપીઆઈએ મહાસચિવ ડી.રાજાની પત્ની એની રાજા (Annie Raja)ને ઉમેદવાર બનાવ્યા છે. એની પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી સમિતીની સભ્ય પણ છે. આ ઉપરાંત સીપીઆઈએ રાહુલ ગાંધીને ઘણા મોરચે ઘેરી રહી છે, તેથી એવું લાગી રહ્યું છે કે, રાહુલે જીતવા માટે મહામહેનત કરવી પડશે.

...તો રાહુલના હાથમાંથી જશે વાયનાડ

કેરળ (Kerala)માં કોંગ્રેસ (Congress)ને હિન્દુ મતદારોનું સૌથી વધુ સમર્થન મળતું રહ્યું છે. ભાજપ (BJP) પણ ત્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) પર હાવી થવાના તમામ પ્રયાસો કરતી રહી છે, પરંતુ હજુ સુધી સફળ થઈ શકી નથી. પરંતુ આ વખતે સીપીઆઈએ સીએએ અને મુસ્લિમ લીગના ધ્વજનો મુદ્દો ઉઠાવ્યો છે અને કોંગ્રેસને એન્ટી મુસ્લિમ તરીકે ચિતરી રહી છે. હવે આ મુદ્દાનો લાભ ભાજપે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધી સામે દમદાર ઉમેદવાર કે.સુરેન્દ્ર (K Surendran)ને મેદાનમાં ઉતાર્યા છે. સુરેન્દ્રન કેરળમાં ઘણી વખત ચૂંટણી લડ્યા છે. ગત ચૂંટણીમાં તેઓ માત્ર થોડા મતોથી હારી ગયા હતા. જો હિન્દુ વોટોના ભાગલા પડશે અને મુસ્લિમ મતદારો સીપીઆઈ પર પસંદગી ઉતારશે, તો રાહુલના હાથમાંથી વાયનાડ જઈ શકે છે.

સીપીઆઈ વાયનાડ જીતવાના મૂડમાં

દેશમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયા બાદ કેરળના મુખ્યમંત્રી અને સીપીઆઈના સૌથી વરિષ્ઠ નેતા પિનરાઈ વિજયન સતત વાયનાડની મુલાકાત કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ ઘણા મુદ્દાઓ ઉછાળી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે. આ ઉપરાંત પાર્ટીએ એની રાજા જેવી વરિષ્ઠ નેતાઓને વાયનાડની ટિકિટ આપી છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, સીપીઆઈ રાહુલ ગાંધીને પછાળી વાયનાડ જીતવાના મૂળમાં છે.

મુસ્લિમોના સમર્થન વિના વાયનાડ જીતવું અસંભવ

વાયનાડમાં હિન્દુ અને મુસ્લિમની વસ્તી લગભગ 40થી 45 ટકાની આસપાસ છે, તેથી વાયનાડ બેઠક મુસ્લિમોના સમર્થન વિના જીતવી અશક્ય છે. થોડા મહિનાઓ પહેલા દેશમાં શરૂ કરાયેલ નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ત્યારે કેરળની લેફ્ટ સરકારના મુખ્યમંત્રી વિજય CAA વિરુદ્ધ સતત નિવેદન કરી મુસ્લિમ મતદારોને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીપીઆઈ ચૂંટણીમાં પણ સીએએનો મુદ્દો ઉછાળી મોટો લાભ લેવાની તૈયારીમાં છે.

કોંગ્રેસને CAAનો વિરોધ કરવો પડ્યો ભારે

રસપ્રદ વાત એ છે કે, વાયનાડમાં હિન્દુ-મુસ્લિમની વસતી (Wayanad Hindu-Muslim Voter) લગભગ સરખી છે, તેથી સીએએના વિરોધની સીધી અસર કોંગ્રેસ પર પડી રહી છે, જ્યારે ભાજપને કોઈ અસર નથી. તેથી આ ચૂંટણીમાં કોંગ્રેસને સીએએનો વિરોધ ભારે પડી શકે છે. કોંગ્રેસને અત્યાર સુધી ડાબેરીઓનું સમર્થન મળતું રહ્યું છે, પરંતુ કોંગ્રેસને એવું લાગે છે કે, CAA વિરૂદ્ધ આંદોલન કરી રહેલા વામપંથિઓ સાથે જોડાઈશું તો રાજ્યમાં હિન્દુ વોટ બેંક તૂટી શકે છે. કોંગ્રેસને એ પણ ડર છે કે વામપંથિઓની જેમ જ CAA વિરૂદ્ધ મજબૂતીથી વિરોધ ન કરવાથી મુસ્લિમ મતદારો CPI M તરફ વળી જશે.

વાયનાડની વસ્તી ગણતરીનું ગણિત રાહુલને ભારે પડશે

ચૂંટણી પંચ (Election Commission)ના આંકડા મુજબ વાયનાડ લોકસભા બેઠક પર મુસ્લિમ અને હિન્દુ મતદારાઓ 40-40 ટકા છે. જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી 20 ટકા, SC મતદારો સાત ટકા અને ST મતદારોની સંખ્યા 9.3 ટકા છે. એની રાજા ખ્રિસ્તી (Christian) છે. જો સીપીઆઈ મુસ્લિમોને મનાવવામાં સફળ થશે તો રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. કારણ કે ખ્રિસ્તી અને મુસ્લિમ મતદારો કુલ 60થી 65 ટકા પર પહોંચી જાય છે.


Google NewsGoogle News