ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે કેરળમાં નિપાહ વાયરસથી એકનું મોત, લોકોને માસ્ક પહેરવા સલાહ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે કેરળમાં નિપાહ વાયરસથી એકનું મોત, લોકોને માસ્ક પહેરવા સલાહ 1 - image


Nipah Virus Alert : એકતરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ફેલાતા દહેશત ફેલાયો છે, તો બીજીતરફ કેરળમાં નિપાહ વાયરસને માથું ઊંચતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કેરળના આરોગ્ય મંત્રી વીના જોર્જે કહ્યું કે, મલ્લમપુરમાં નિપાહ વાયરસના ચેપના કારણે 14 વર્ષિક સગીરનું મોત થયું છે. 

કેરળના આરોગ્યમંત્રીએ આપી માહિતી

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, પાંડિક્કડના રહેવાસી બાળકને સવારે હાર્ટએટેક આવ્યો હતો, જોકે તેને બચાવી શકાયો નથી. તેમણે કહ્યું કે, પીડિત બાળકને વેન્ટિલેટર પર રખાયો હતો. બાળકને હાર્ટએટેક આવ્યા બાદ તેને બચાવવાનો ઘણો પ્રયાસ કરાયો હતો, જોકે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. આમ કોરોના બાદ હવે નિપાહ વાયરસની દહેશત ફેલાઈ છે.

આ પણ વાંચો : કાંવડયાત્રામાં નેમ પ્લેટનો વિવાદ વકર્યો, જમિયત ઉલેમા એ હિન્દ થયું એક્ટિવ, સરકારને કોર્ટમાં પડકારશે

નિપાહના કારણે આરોગ્ય મંત્રીનું એલર્ટ

વીના જોર્જે (Veena George) કહ્યું કે, બાળકના અંતિમ સંસ્કાર આંતરરાષ્ટ્રીય પ્રોટોકૉલ મુજબ કરવામાં આવશે. જોકે આ માટે જિલ્લાના અધિકારી મૃતક બાળકના માતા-પિતા સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. આ પહેલા મંત્રીએ કહ્યું હતું કે, નિપાહ વાયરસનું સંક્રમણ કેન્દ્ર પાંડિક્કડ છે અને સુરક્ષાને ધ્યાને લઈ પહેલાં જ તમામ પગલાંઓ લેવાયા છે. તેમણે સંક્રમણનું કેન્દ્ર બનેલા વિસ્તાર અને તેની આસપાસની હોસ્પિટલોના લોકોને જાહેર સ્થળો પર માસ્ક પહેરવાની તેમજ હોસ્પિટલમાં દર્દીઓને મળવાનું ટાળવાની સલાહ આપી છે.

અગાઉ કેરળમાં નિપાહથી ચારના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, નિપાહના ફેલાવાને અટકાવવા માટે વિશેષ કાર્ય યોજના ઘડવામાં આવી રહી છે. અગાઉ આ વાયરસના કારણે ચારના મોત નિપજ્યા હતા, જેના કારણે રાજ્ય સરકાર ચિંતિત થઈ હતી. કોઝિકોડા જિલ્લામાં વર્ષ 2018, 2021 અને 2023માં અને એર્નાકુલમાં 2019માં નિપાહ સંક્રમણ ફેલાવાના કેસ નોંધાયા હતા. કોઝિકોડ, વાયનાડ, ઇડુક્કી, મલપ્પુરમ અને એર્નાકુલમ જિલ્લાના ચામાચીડિયામાં નિપાહ વાયરસના એન્ટિબોડીઝ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો : ‘રામદેવને ઓળખ આપવામાં વાંધો નથી, તો રહેમાનને કેમ હોવી જોઈએ’, નેમપ્લેટ વિવાદમાં રામદેવની એન્ટ્રી


Google NewsGoogle News