કેજરીવાલને જેલમાં જવાની આશંકા; મોદીએ કહ્યું : મને ગમે તેટલી ગાળો પડે પણ હું અટકીશ નહીં
- ઇડીનો સમન્સ એક તરફ રાખી, કેજરીવાલ ગુરૂવારે મ.પ્ર.માં ચૂંટણી પ્રચારમાં ગયા; કહ્યું પરિણામો સુધી મને જેલમાં રખાશે તેવી શંકા છે
નવી દિલ્હી : પ્રવર્તન નિદેશનાલય (ઇડી) સમન્સને એક તરફ રાખી ગુરૂવારે, મધ્ય પ્રદેસ્માં ચૂંટણી પ્રચાર માટે ગયેલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડની આશંકા દર્શાવી હતી. તેમણે કહ્યું કે એવું પણ બની શકે કે ચૂંટણી પરિણામો સુધી મને જેલમાં રાખવામાં આવે. સાથે તેમણે કહ્યું કે મારા દેહને ગિરફતાર કરી શકાશે, પરંતુ, મારા વિચારોને નહીં.
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં કાકેરમાં એક એક રેલીને સંબોધતાં કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ તેમનાં પગલાં ચાલુ જ રહેશે પછી ભલે તેઓને ગાળો આપવામાં આવે. પરંતુ તેઓ કાર્યવાહી કરતા જ રહેશે.
સિંગરોલીમાં પોતાનાં ઉમેદવાર રાણી અગ્રવાલનાં સમર્થનમાં કેજરીવાલે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે રોડ-શો પણ યોજ્યો હતો. તે પછી તેઓએ કહ્યું હતું કે રોજે રોજ મને ધમકી અપાઈ છે કે કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે. પરંતુ તમે મારાં શરીરને બંદીવાન બનાવી શકશો, પરંતુ મારા વિચારોને કઇ રીતે બંદીવાન બનાવી શકશો ?
તેમણે કહ્યું પહેલાં દિલ્હી ગોટાળા માટે જાણીતું હતું પરંતુ આજે સારી સ્કૂલો, હોસ્પિટલો અને વૃદ્ધો માટે તીર્થયાત્રાની સગવડની ચર્ચા થાય છે. આ સાથે આવતા સંયોજકે અન્ના આંદોલનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે રામલીલા મેદાનમાં સિસોદીયા, સત્યેન્દ્ર જૈન સહિત જે કોઈ સ્ટેજ ઉપર તે સમયે ઉપસ્થિત હતા તે સર્વેની ધરપકડ કરાઈ છે. પરંતુ કરોડો લોકોની જે ભીડ હતી તેને કઇ રીતે ગિરફતાર કરી શકશો ? હું જેલમાં જાઉં તેથી કોઈ ફર્ક નથી પડતો. હું જેલમાં જવાથી ડરતો નથી. તેમ પણ તેમણે કહ્યું હતું.
બીજી તરફ દિલ્હીથી છત્તીસગઢ સુધી ઇડી સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનાં એકશન અને તેમાં વિપક્ષને જ નિશાન બનાવી રહ્યા હોવાનો વિપક્ષોના આક્ષેપનો જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું કે ભલે મને ગમે તેટલી ગાળો પડે પરંતુ હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ તો પગલાં લેતો જ રહીશ. તેઓએ વધુમાં કહ્યું અત્યારે તો છત્તીસગઢમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. પરંતુ તેનો અવાજ, દિલ્હી સુધી પહોંચે તે માટે જનસામાન્યએ તેની ઉપર મહોર મારવી જ રહી. આ અંગે નિરીક્ષકો કહે છે કે આ રીતે વડાપ્રધાને આમ આદમી પાર્ટીના નેતાઓ તરફ સીધો જ ઇશારો કર્યો હતો.