VIDEO: કર્ણાટકમાં અમિત શાહની રેલી યોજાયા બાદ ડી.કે. શિવકુમારે કર્યો કટાક્ષ, કહ્યું- ‘હું તેમને શુભકામના પાઠવું છું’

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
VIDEO: કર્ણાટકમાં અમિત શાહની રેલી યોજાયા બાદ ડી.કે. શિવકુમારે કર્યો કટાક્ષ, કહ્યું- ‘હું તેમને શુભકામના પાઠવું છું’ 1 - image


Lok Sabha Elections 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે કર્ણાટક (Karnataka)ના ચન્નાપટના રેલી યોજી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કર્યા બાદ કોંગ્રેસ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે (DK Shivakumar) તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે રાજકારણમાં વિપક્ષનું સ્વાગત કરીએ છીએ. વડાપ્રધાને પણ આવી રેલી કરી હતી. હું તેમને શુભકામના પાઠવું છું.’

અગાઉ PM મોદીએ ચન્નાપટનામાં સંબોધી હતી જાહેરસભા

ઉલ્લેખનિય છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ચન્નાપટમાં વિશાળ જનસભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) બંને પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું કે, ‘જેડીએસને કોંગ્રેસની બી ટીમ છે. બંને પાર્ટીઓ વંશવાદની પાર્ટી છે અને ભ્રષ્ટાચાર વધારી રહી છે.’ જોકે ચૂંટણીના પરિણામમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસે 135, ભાજપે 66 અને જેડીએસએ 19 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસે સરકાર બનાવી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

અમિત શાહે ભાજપ-JDSના નેતાઓ સાથે બેઠક કરી

દરમિયાન અમિત શાહે આજે કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને રાજ્યના ભાજપ એકમના નેતાઓ સાથે સંયુક્ત બેઠક કરી હતી. બેઠકમાં જેડીએસના નેતા એચ.ડી.કુમારસ્વામી, વડા જી.ટી.દેવેગૌડા, ભાજપ નેતા બી.એસ.યેદિયુરપ્પા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

કર્ણાટકમાં ભાજપ 25, JDS ત્રણ બેઠક પર ચૂંટણી લડશે

ઉલ્લેખનિય છે કે, કર્ણાટક કુલ 28 લોકસભા બેઠકોમાંથી ભાજપ 25 બેઠકો પર જ્યારે જેડીએસ બાકીની ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપે બેંગલુરુ ગ્રામીણ બેઠક પર કુમારસ્વામીના જમાઈ અને જાણીતા હૃદયરોગ નિષ્ણાત સી.એન.મંજૂનાથને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ડી.કે. શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશને ટિકિટ આપી છે. રાજ્યમાં બે તબક્કામાં 26 એપ્રિલ અને સાતમી મેએ મતદાન યોજાશે, જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે.

કર્ણાટકમાં છેલ્લા ચાર વર્ષથી ભાજપનો દબદબો

કર્ણાટક લોકસભા ચૂંટણીના છેલ્લા ચાર વર્ષના રેકોર્ડની વાત કરીએ તો 2004માં ભાજપે 18 તો કોંગ્રેસે 8, 2009માં ભાજપે 19 તો કોંગ્રેસે 6, 2014માં ભાજપે 17 તો કોંગ્રેસે 9 જ્યારે 2019માં ભાજપે 25 તો કોંગ્રેસે માત્ર એક બેઠકો જીતી હતી. રાજ્યમાં વર્ષ 1952થી શરૂ થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે શરૂઆતમાં સતત 10 ટર્મ સુધી શાસન કર્યું હતું.


Google NewsGoogle News