કર્ણાટક : મતગણતરી પહેલા JDSએ ફેંક્યુ પાસુ... કહ્યું ‘અમે નિર્ણય કરી લીધો, કોની સાથે સરકાર બનાવીશુ’
કાલે કર્ણાટક ચૂંટણીનું પરિણામ : JDSએ કહ્યું, અમારા કાર્યક્રમોને પૂરા કરનાર પક્ષને સમર્થન આપીશું
એક્ઝિટ પોલમાં કિંગમેકર સાબિત થયેલા JDSના નિવેદન બાદ કર્ણાટકના રાજકારણમાં હલચલ
બેંગલુરુ, તા.12 મે-2023, શુક્રવાર
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ પણ વિવિધ પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ જોવા મળી રહ્યું છે. પરિણામ પહેલાના એક્ઝિટ પોલનાં સર્વેમાં કોંગ્રેસ મોટી પાર્ટી અને JDS કિંગમેકર હોવાનું સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. દરમિયાન કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)ના રાષ્ટ્રીય પ્રવક્તા તનવીર અહેમદે જણાવ્યું કે, તેમણે પહેલાથી જ નક્કી કરી દીધું છે કે પરિણામો જાહેર થયા બાદ તેઓ સરકાર બનાવવા કઈ પાર્ટીને સમર્થન આપશે.
JDSના પ્રવક્તા તનવીર અહેમદે જણાવ્યું કે, અમારી પાસે કર્ણાટકની શ્રેષ્ઠતા માટે કેટલાક કાર્યક્રમો છે અને અમે જાણીએ છીએ કે, આ કાર્યક્રમોને પૂરા કરવામાં કોણ સક્ષણ છે. પક્ષ જાણે છે કે, કયો પક્ષ મહિલા સશક્તિકરણ, ખેડૂતો, શિક્ષણ, રોજગાર વગેરે જેવા મુદ્દાઓ માટે કામ કરશે અને અમે તેમની ચાલીશું. આ અગાઉ બહુમતી ન મળતા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ JDS સાથે ગઠબંધન કરવાના પ્રશ્ન પર ગુરુવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નેતૃત્વ આ મુદ્દે નિર્ણય લેશે.
એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ 122-140 સાથે સ્પષ્ટ બહુમતી મેળવી શકે છે. ભાજપને 62-80, JDSને 20-25 અને અન્યને 0-3 બેઠકો મળવાનો અંદાજ છે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં બહુમતી માટે કોઈપણ પક્ષને 113 બેઠકોની જરૂર છે.
13મી મેએ મતગણતરી
કર્ણાટકમાં 10 મેએ 224 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 73.19 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી 13મી મેના રોજ યોજાશે. કર્ણાટકમાં મત ગણતરીને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.