‘જો કંગના માફી નહીં માંગે તો...’ ભડકેલા ખેડૂતોએ પૂતળું સળગાવ્યું, સાંસદ પદેથી હટાવવા અને કાર્યવાહી કરવા માંગ

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
‘જો કંગના માફી નહીં માંગે તો...’ ભડકેલા ખેડૂતોએ પૂતળું સળગાવ્યું, સાંસદ પદેથી હટાવવા અને કાર્યવાહી કરવા માંગ 1 - image


Kangana Ranaut Controversy Statement On Farmers : બોલિવૂડની અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌતે ખેડૂત આંદોલન અંગે વિવાદાસ્પદ નિવેદન કરવું ભારે પડ્યું છે. કંગનાના નિવેદન બાદ કોંગ્રેસ સહિત ઘણા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કંગનાને સાંસદ પદેથી હટાવવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેને માનહાનિની નોટિસ પણ મોકલવામાં આવી છે.

ખેડૂતોએ કંગનાનું પુતળું સળગાવ્યું

મળતા અહેવાલો મુજબ કંગનાના નિવેદનના કારણે રાજસ્થાનના ભરતપુરમાં ભારે વિરોધ કરાયો છે. ખેડૂતોએ કંગનાના નિવેદનથી નારાજ થઈને તેણીનું રાજીનામું માગ્યું છે. આ ઉપરાંત દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભાજપ સાંસદ વિરુદ્ધ કાયકાયદી કાર્યવાહીની પણ માંગ કરી છે. ખેડૂત નેતા નેમ સિંહની આગેવાનીમાં આજે ધરણા-પ્રદર્શન યોજાયા હતા. આ દરમિયાન ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચી કંગનાનું પુતળું સળગાવ્યું હતું.

આ પણ વાંચો : કોલકાતામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો, ભાજપનું કાલે બંધનું એલાન, અનેક દેખાવકારોની ધરપકડ

કંગના વિરુદ્ધ સૂત્રોચ્ચાર

ખેડૂતોએ કંગના વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ કહ્યું હતું કે, કંગનાએ ખેડૂત આંદોલન અંગે આપેલું વિવાદાસ્પદ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતોનું અપમાન કર્યું છે, જેના કારણે ખેડૂતો નારાજ થયા છે. ખેડૂતોનું કહેવું છે કે, કંગનાને સાંસ પદેથી હટાવી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.

કંગના સામે ખેડૂતોએ મોરચો ખોલ્યો

ઉલ્લેખનીય છે કે, આ મામલે ભાજપે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કંગનાના નિવેદન સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી. રાજકીય પક્ષોએ પણ કંગનાના નિવેદનની નિંદા કરી હતી. કોંગ્રેસ સહિત તમામ ખેડૂત સંગઠનો આ વિવાદિત નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલા નેમ સિંહે કહ્યું કે, ખેડૂતો ખેતીની માંગ માટે આંદોલન કરી રહ્યા હતા. લોકશાહી રીતે ચાલતા ખેડૂતોના આંદોલન પર આવું નિવેદન કરીને ભાજપ સાંસદે દેશનું અપમાન કર્યું છે. આથી તેમને સાંસદ પદેથી હટાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. જો તેમની સામે કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો આંદોલન કરવાની ફરજ પડશે.

આ પણ વાંચો : દારુડીયા દર્દીની હોસ્પિટલમાં બબાલ, મહિલા ડૉક્ટર પર કર્યો હુમલો, વાળ ખેંચી બેડ પર પટકી

કંગનાને માનહાનિની નોટિસ પાઠવાઈ

કિસાન સંઘર્ષ સમિતિના નેતા એડવોકેટ વિશ્વજીત રતૌનિયાએ કંગના રનૌતને માનહાનિની ​​નોટિસ મોકલી છે. ખેડૂતો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમને બદનક્ષીની નોટિસ મોકલાઈ છે. એડવોકેટે કંગનાને નોટિસ આપી ચેતવણી આપી છે કે, જો કંગના સાત દિવસમાં માફી નહીં માંગે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

કંગનાએ શું કહ્યું હતું?

વાસ્તવમાં ભાજપ સાંસદે ખાનગી સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર નિશાન સાધ્યું હતું. કંગનાએ કહ્યું હતું કે, પંજાબમાં ખેડૂત આંદોલનના નામે હિંસા ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ત્યાં દુષ્કર્મ અને હત્યાઓ જેવી પણ ઘટનાઓ બની રહી છે. આ તો કિસાન બિલ પરત ખેંચી લેવાયું, નહીં તો આ લોકોએ લાંબું પ્લાનિંગ કર્યું હતું. આ લોકો કંઈપણ અને કોઈપણ હદે જઈ શકતા હતા. જો કેન્દ્ર સરકાર મજબૂત ન હોત તો ખેડૂત આંદોલન વખતે પંજાબ પણ બાંગ્લાદેશ બની ગયું હોત.


Google NewsGoogle News