સિગ્નલ ફેલ, બેકાબુ સ્પીડ અને પછી બે ટ્રેનની ટક્કર, ન્યૂ જલપાઈગુડી દુર્ઘટના અંગે 10 ખુલાસા

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
Kanchanjunga Express Accident


Kanchanjunga Express Accident: ત્રિપુરાના અગરતલાથી સિયાલદહ જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસને પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં સોમવારે સવારે અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર પાછળથી તેજ ઝડપે આવી રહેલી એક માલગાડીએ ટક્કર મારતા કાંચનજંગા એક્સપ્રેસના પાછળના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 

અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 47 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં માનવીય ભૂલ અને ખરાબ સિગ્નલને જવાબદાર ગણવામાં આવ્યા હતા. એવામાં આ ટ્રેન દુર્ઘટના સંબંધિત દસ મોટી અપડેટ પર નજર કરીએ. 

- કાંચનજંગા એક્સપ્રેસ ત્રિપુરાના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. એવામાં સવારે 8.55 વાગ્યે રંગપાણી સ્ટેશન ક્રોસ કર્યા બાદ એક માલગાડીએ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમજ એક કોચ માલગાડીના એન્જિન ઉપર લટકી ગયો હતો. આ ઘટનામાં નવ લોકોના મોત અને 47 જેટલા લોકો ઘાયલ થયા છે. 

- આ દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવે, NDRF અને SDRFની ટીમ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પરંતુ ભારે  વરસાદના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ પડી હતી.

- બંગાળમાં રાણીપતરા રેલ્વે સ્ટેશન અને છત્તર હાટ જંક્શન વચ્ચેની ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સોમવારે સવારે 5.50 વાગ્યાથી બંધ થઈ ગયું હતું. આ સ્થળે જ માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી.

- ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ ખરાબ હોવાના કારણે રંગપાણીના સ્ટેશન માસ્તરે કાંચનજંગા એક્સપ્રેસને સવારે 8.20 વાગ્યે TA-912 નામનો લેખિત મેમો જારી કર્યો હતો. આ જ મેમો સવારે 8.35 વાગ્યે ગુડ્સ ટ્રેનને પણ આપવામાં આવ્યો હતો. રંગપાણી સ્ટેશન માસ્તરે બંને ટ્રેનોને TA-912 મેમો જારી કર્યો હતો.

- જયારે ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ કામ નથી કરતી ત્યારે આ લેખિત મેમો આપવામાં આવે છે. જેમાં લોકો પાયલટને તમામ રેડ સિગ્નલ પાર કરવાની પરવાનગી મળે છે. જો માલગાડીને TA 912 મેમો ન્હોતો આપવામાં આવ્યો તો ડ્રાઈવરે દરેક ખરાબ સિગ્નલ પર એક મિનીટ માટે ટ્રેન રોકવાની હોય છે. તેમજ 10 કિમી/કલાકની ઝડપે આગળ વધવાનું હોય છે. આ મેમોમાં કહેવામાં આવ્યું હતું કે લોકો પાયલટે દરેક ગેટ પર નજર રાખવાની રહેશે. જયારે ફાટક બંધ હોય ત્યારે જ ટ્રેન આગળ વધી શકશે. જો ફાટક ખુલ્લું હશે તો અગાઉથી ટ્રેન રોકવી પડશે.

- રેલવે બોર્ડે આ ટ્રેન દુર્ઘટના માટે માલગાડીના ડ્રાઇવરને જવાબદાર ગણાવ્યો હતો. રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ કહ્યું હતું કે માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવગણના કરી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

- લોકો પાયલટ ઓર્ગેનાઈઝેશને રેલવેના નિવેદન પર સવાલ

ઉઠાવ્યા છે કે ડ્રાઈવરે રેલવે સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય રેલવે લોકો રનિંગમેન ઓર્ગેનાઈઝેશન (IRLRO) ના કાર્યકારી પ્રમુખ સંજય પાંધીએ જણાવ્યું હતું કે લોકો પાયલટના મૃત્યુ પછી અને CRS તપાસ બાકી છે, તે પછી લોકો પાયલટને જવાબદાર જાહેર કરવામાં વાંધાજનક છે.

- આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે, જેમાંથી ચારની ઓળખ હજુ થઈ નથી. તમામ ઘાયલોના નામની યાદી પણ બહાર પાડવામાં આવી છે.

- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટનાના પીડિતો માટે જાહેર કરેલી રાહત રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને ઓછા ઘાયલોને 50 હજાર રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે.

- કાંચનજંગા ટ્રેન દુર્ઘટના પછી, મોટા પાયે ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ 19 ટ્રેનોને અસરગ્રસ્ત રૂટ પર ડાયવર્ટ અથવા રદ કરવામાં આવી હતી.

- અકસ્માત બાદ ટ્રેકને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ટ્રેકને સીધો કરવા માટે સ્લીપર્સ નાખવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ OHE વાયરનું કામ શરૂ કરવામાં આવશે.

સિગ્નલ ફેલ, બેકાબુ સ્પીડ અને પછી બે ટ્રેનની ટક્કર, ન્યૂ જલપાઈગુડી દુર્ઘટના અંગે 10 ખુલાસા 2 - image



Google NewsGoogle News