'અરે ભાઈ, છોડો અખિલેશ-વખીલેશ' કમલનાથનાં આ કથનથી ભડકી ગયા સપા પ્રમુખ અખિલેશ યાદવ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
'અરે ભાઈ, છોડો અખિલેશ-વખીલેશ' કમલનાથનાં આ કથનથી ભડકી ગયા સપા પ્રમુખ અખિલેશ યાદવ 1 - image


- મને સમજાતું નથી કે આખરે કોંગ્રેસને અન્ય દળોનો સાથ લેવામાં શું તકલીફ છે ? : અખિલેશ

છિંદવાડા, (મ.પ્ર.) : મધ્ય પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ કમલનાથના એક કથનથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ભડકી ઊઠયા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, મ.પ્ર.માં કોંગ્રેસના લોકો ભાજપ સાથે મળેલા છે. જો મને ખબર હોત કે, કોંગ્રેસ વિધાનસભા-ચૂંટણીમાં ગઠબંધન નહીં કરે તો, અમે તેનો ફોન પણ ન ઉપાડત.

વાસ્તવમાં મ.પ્ર. વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને મ.પ્ર. પ્રદેશ સમિતિના પ્રમુખ કમલનાથ પોતાનાં ગૃહ ક્ષેત્ર, છિંદવાડા ગયા હતા. તે દરમ્યાન તેઓએ મીડીયાને કહ્યું : 'માહૌલ ઘણો જ સરસ છે. ટિકીટો ઘોષિત થયા પછી, ફોન-કોલ આવી રહ્યા છે, લોકોમાં ઉત્સાહ છે, અમે ધાર્યા કરતાં પણ વધુ બેઠકો મેળવી શકીશું.

અખિલેશ યાદવે કોંગ્રેસ ઉપર મુકેલા વિશ્વાસઘાતના આક્ષેપો અંગે મીડીયાએ જ્યારે તેઓને પૂછયું કે કમલનાથે ખુલ્લે આમ કહી દીધું : 'અરે ભાઈ, છોડો અખિલેશ-વખીલેશ'

આ માહિતી મળતાં સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ હવે કોંગ્રેસ ઉપર ભડક્યા છે. તેઓએ કહ્યું : મને તે સમજાતું નથી કે, છેવટે અન્ય દળોનો સાથ લેવામાં કોંગ્રેસને શી તકલીફ છે ? કોઈ પણ પક્ષમાં તાકાત અને હેસિયત હોય, તો, તેનો સાથ લેવો જ જોઈએ. મને તે દિવસો પણ યાદ છે કે, જ્યારે કોંગ્રેસને પોતાની સરકાર રચવી હતી ત્યારે તે અમારા વિધાયકોને શોધી રહી હતી. એમ.પી.માં સવારથી સાંજ સુધી અમારા વિધાયકોને શોધતી હતી. હવે શી તકલીફ છે ?'

આવી ઘટનાઓ ઉપરથી નિરીક્ષકો કહે છે કે, વાસ્તવમાં દેશનાં પાંચ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓ સમયે જ વિપક્ષોમાં સીટ-એડજેસ્ટમેન્ટમાં મતભેદ ઉભા થઈ રહ્યા છે. જે ૨૦૨૪માં આવનારી લોકસભાની ચૂંટણી વખતે તો વ્યાપક બની રહેવા સંભવ છે.

આ સંઘ કાશીએ ક્યારે પહોંચશે ?


Google NewsGoogle News