મુસ્લિમો અંગે શરમજનક નિવેદન પર કાયમ છે જસ્ટિસ શેખર યાદવ, CJIને પણ જવાબ મોકલ્યો
Image: Facebook
Justice Shekhar Kumar Yadav Statement Issue: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્વારા મુસ્લિમોને નિશાન બનાવનાર તેમના એક નિવદેનને લઈને નોટિસ ફટકારી હતી. તે નોટિસના લગભગ એક મહિના બાદ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવે ચીફ જસ્ટિસ સંજીવન ખન્નાને પત્ર લખીને પોતાના નિવેદન પર અડગ રહેવાની વાત કહી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 'મારા નિવેદનથી ન્યાયિક આચાર સંહિતાનું કોઈ ઉલ્લંઘન થયું નથી.'
અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીએ 17 ડિસેમ્બરે સીજેઆઈ સંજીવ ખન્નાના નેતૃત્ત્વમાં કોલેજિયમની સાથે જસ્ટિસ યાદવની બેઠક બાદ તેને આ મુદ્દે સ્પષ્ટીકરણ માગ્યુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ યાદવના જવાબમાં એક કાયદાનો વિદ્યાર્થી અને એક આઈપીએસ અધિકારી દ્વારા તેમની ટિપ્પણી વિરુદ્ધ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈપીએસ અધિકારીને સરકારે નિવૃત્ત કરી દીધા હતાં.
જસ્ટિસ યાદવે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે 'મારું ભાષણ અમુક સ્વાર્થી તત્ત્વો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને ન્યાયપાલિકાના તે સભ્ય જે જાહેરમાં પોતાની વાત મૂકી શકતાં નથી. તેમને સુરક્ષા આપવી જોઈએ. મે પોતાના નિવેદન પર અફસોસ પ્રગટ કર્યો નથી. મારું ભાષણ બંધારણમાં સહજ મૂલ્યોના અનુરૂપ સામાજિક મુદ્દા પર વિચાર વ્યક્ત કરવા માટે હતું. કોઈ સમુદાય પ્રત્યે નફરત ફેલાવવા માટે નહોતું.
ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનની લાઈબ્રેરીમાં આયોજિત વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાનૂની સેલના કાર્યક્રમમાં બોલતાં જસ્ટિસ યાદવે સમાન નાગરિક સંહિતા (UCC) ને એક હિન્દુ વર્સેસ મુસ્લિમ ચર્ચાના રૂપમાં પ્રસ્તુત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે 'હિન્દુઓએ સુધારા કર્યાં છે જ્યારે મુસ્લિમોએ કર્યાં નથી. તમારો એ ભ્રમ છે કે જો કોઈ કાયદો (UCC) લાવવામાં આવ્યો તો તે તમારા શરિયત, ઈસ્લામ અને કુરાન વિરુદ્ધ હશે પરંતુ હું એક અન્ય વાત કરવા ઈચ્છું છું કે ભલે તે તમારો વ્યક્તિગત કાયદો હોય, અમારો હિન્દુ કાયદો હોય, તમારું કુરાન હોય કે અમારી ગીતા, જેમ મે કહ્યું અમે અમારી પ્રથાઓમાં બુરાઈઓનું સમાધાન કરી ચૂક્યા છે. અછૂત, સતી, જોહર, ભ્રૂણ હત્યા... અમે આ તમામ સમસ્યાઓનું સમાધાન કરી ચૂક્યા છે. પછી તમે આ કાયદાને કેમ ખતમ કરતાં નથી? આ હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનમાં રહેતાં બહુમતીના અનુસાર જ દેશ ચાલશે. તમે એ પણ નથી કહી શકતાં કે હાઈકોર્ટના જસ્ટિસ થઈને આવું બોલી રહ્યાં છો. કાયદો તો ભાઈ બહુમતીના આધારે જ ચાલે છે. પરિવારમાં પણ જુઓ, સમાજમાં પણ જુઓ. જ્યાં પણ વધુ લોકો હોય છે, જે કહે છે તેને જ માનવામાં આવે છે.'
જસ્ટિસ યાદવને લખેલા પત્રમાં તેમના ગાય સંરક્ષણ સંબંધિત એક આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને અમુક કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની પર તેમણે કહ્યું કે 'ગાયની રક્ષા સમાજની સંસ્કૃતિને દર્શાવે છે અને તેને કાયદા હેઠળ યોગ્યરીતે માન્યતા પ્રાપ્ત છે. ગાય સુરક્ષાના પક્ષમાં માન્ય અને યોગ્ય ભાવનાને ન્યાય, નિષ્પક્ષતા, ઈમાનદારી અને નિષ્પક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન માનવામાં આવી શકતું નથી.'