રંજન ગોગોઈ બન્યા દેશના 46મા ચીફ જસ્ટિસ, 13 મહિનાનો હશે કાર્યકાળ
નવી દિલ્હી, તા. 3. ઓક્ટોબર 2018 બુધવાર
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ દેશના 46મા ચીફ જસ્ટિસ બન્યા છે. તેમને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવી હતી. તેમનો કાર્યકાળ 13 મહિનાનો રહેશે.
ગત સપ્તાહે તેમને ચીફ જસ્ટીસ બનાવવા સામેની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ગોગોઈ આસામના રહેવાસી છે. તેમણે નેશનલ સિટિઝન રજિસ્ટર માટેની સુનાવણી કરનાર સ્પેશ્યલ બેંચની અધ્યક્ષતા પણ કરેલી છે.
જાહેરાતો થકી રાજકીય નેતાઓના ગુણગાન ગાવાની સામે જસ્ટિસ ગોગોઈ ચુકાદો આપી ચુક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના એ ચાર જજોમાં સામેલ છે. જેમણે 12 જાન્યુઆરીના દિવસે અચાનક જ પત્રકાર પરિષદ કરીને ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.
શરુઆતમાં જસ્ટિસ ગોગોઈએ વકિલાત કરી હતી. એ પછી 2001માં ગૌહાટી હાઈકોર્ટમાં જેમની જજ તરીકે નિમણૂંક થઈ હતી. 2011માં તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 2012માં તેમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ કરાઈ હતી.