પૂર્વ CM ચંપઈ સોરેનના કાફલામાં સામેલ કારનો ભીષણ અકસ્માત, એકનું મોત, પાંચને ઈજા

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
Jharkhand Accident


Jharkhand Accident : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરનના કાફલામાં સામેલ કારનો ગંભીર અકસ્માત થયો છે, જેમાં અજાણ્યા વાહનની ટક્કરના કારણે કાર ચલાવી રહેલા જવાન વિનય બાનસિંહનું મોત થયું છે, જ્યારે પાંચ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ પૂર્વ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

અજાણ્યા વાહને ટક્કર મારતા કાર ફંગોળાઈ

મળતા અહેવાલો મુજબ એસ્કૉર્ડ ગાડીમાં સવાર જવાન મંત્રી ચંપઈ સોરેનને તેમના નિવાસ સ્થાન જિલિંગ્ગોડા છોડીને પોલીસ લાઈન તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગઈકાલે મુડિયા ગામ પાસે એક અજાણ્યા વાહને તેમની એસ્કોર્ટ કારને ટક્કર મારતા કાર ફંગોળાઈ હતી, જેમાં જવાનનું મોત નિપજ્યું છે. મોડી રાત્રે બે વાગે સર્જાયેલા અકસ્માતમાં અન્ય પાંચ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે. 

આ પણ વાંચો : સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા

ઈજાગ્રસ્ત પાંચ જવાનોને હોસ્પિટલ ખસેડાયા

ભીષણ અકસ્માત સર્જાયા બાદ તુરંત સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચી સરાયકેલા પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર કર્યા બાદ જમશેદપુર રેફર કરવામાં આવ્યા છે. આ ભીષમ અકસ્માતમાં એસ્કૉર્ડ કાર ચલાવી રહેલા જવાનનું મોત થયું છે.

જવાનો સોરેનને નિવાસસ્થાને મૂકીને પરત ફરી રહ્યા હતા

ચંપઈ સોરેન મંગળવારે રાત્રે ફ્લાઈટમાં દિલ્હીથી કોલકાતા પહોંચ્યા હતા. પછી તેઓ કારમાં ઝારખંડના સરાયકેલા ગયા હતા. એસ્કોર્ટ ગાડીમાં સવાર જવાનો ચંપઈ સોરેનને તેમના નિવાસ સ્થાને મુકવા ગયા હતા. ત્યારબાદ જવાનો ત્યાંથી પોલીસ લાઈન તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત થયો. હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત 16 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ


Google NewsGoogle News