એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ 1 - image


Jammu Kashmir Terrorist Attack : જમ્મુ કાશ્મીરમાં 72 કલાકમાં ત્રણ આતંકવાદી હુમલા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ NSA અજીત ડોભાલ (Ajit Doval) અને અન્ય અધિકારીઓ સાથે હાઈલેવલની બેઠક યોજી છે. બેઠકમાં વડાપ્રધાને કહ્યું છે કે, એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ.

વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો તાગ મેળવ્યો

અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સંબંધીત સ્થિતિ અંગે વડાપ્રધાનને સંપૂર્ણ માહિતી આપી છે. આ ઉપરાંત તેમણે આતંકવાદ વિરોધી પ્રયાસો અંગે પણ જાણકારી આપી છે. આ દરમિયાન વડાપ્રધાને આતંકવાદ સામે સંપૂર્ણ તાકાત સાથે લડવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે.

એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ 2 - image

વડાપ્રધાને ગૃહમંત્રી અને રાજ્યાલ સાથે વાત કરી

વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે સુરક્ષા દળોની તહેનાતી અને આતંકવાદ વિરોધી ઓપરેશન અંગે ચર્ચા કરી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (Manoj Sinha) સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે. સિન્હાએ સ્થાનિક તંત્ર દ્વારા કરાયેલા પ્રયાસો અંગે વડાપ્રધાનને માહિતી આપી છે.

એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ 3 - image

રિયાસીમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ પર આતંકવાદી હુમલો

જમ્મુ કાશ્મીરમાં 72 કલાકમાં ત્રણ આતંકી હુમલા થયા છે, જેમાં CRPFનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે છ જવાનો ઘાયલ થયા હતા. જ્યારે કઠુઆમાં સૈન્ય ઓપરેશનમાં બે આતંકીઓ પણ ઠાર મરાયા હતા. હજુ બે દિવસ પહેલા જ વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસ પર રિયાસીમાં કરાયેલા હુમલામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો, એવામાં ત્રણ મોટા આતંકી હુમલાથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાના દાવાની પોલ ખુલી હતી. સાથે જ સુરક્ષા એજન્સીઓ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. 

એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ 4 - image

કઠુઆમાં આંકીઓએ ગામલોકો પર ફાયરિંગ કર્યું

કઠુઆના હીરાનગરમાં સૈદા સુખલ ગામમાં મંગળવારે સવારે આઠ વાગ્યે આતંકી હુમલો થયો હતો. આ ગામમાં આતંકીઓ લોકોના ઘરોમાં હથિયારો સાથે પહોંચ્યા હતા, જેને કારણે ગામના લોકોએ વિરોધ કરતા આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી દીધો હતો જેમાં એક નાગરિક ઘાયલ થયો છે. જે બાદ સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જોકે આ ઓપરેશન દરમિયાન સીઆરપીએફનો એક જવાન કબીર દાસ શહીદ થઇ ગયો હતો. આતંકીઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ છે. આતંકીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, રોટલી, દવાઓ, ઇંજેક્શન, 1 સિરિંજ, એક એંટિના, હેન્ડ ગ્રેનેડ વગેરે જપ્ત કરાયા હતા. મોડી રાત સુધી બે સૈન્ય ઓપરેશન ચાલ્યા હતા. 

એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ 5 - image

ડોડામાં પોલીસ અને સેનાના કાફલા પર હુમલો

આ દરમિયાન આતંકીઓએ એક સૈન્ય પોસ્ટ પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર એસપીઓ પણ ઘાયલ થયા હતા. રિયાસીમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર હુમલામાં 10 લોકોના મોતની ઘટનાના બે દિવસ બાદ આ હુમલા સામે આવ્યા છે. જમ્મુ ઝોનના એડિશનલ ડીજીપી આનંદ જૈને કહ્યું હતું કે દોડા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ જોઇન્ટ પાર્ટી અને સૈન્યના રાષ્ટ્રીય રાઇફલના કાફલા પર મોડી રાત્રે હુમલો થયો હતો.

એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ 6 - image

કઠુઆ હુમલામાં બે આતંકવાદીઓ ઠાર

કઠુઆ હુમલામાં સામેલ બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, એક આતંકી સ્થળ પર જ માર્યો ગયો હતો જ્યારે બીજો આતંકી જંગલમાં ભાગી ગયો હતો જેનો સવારે સફાયો કરાયો હતો. આતંકી પાસેથી અમેરિકી બનાવટની એમ૪ અસોલ્ટ રાઇફલ મળી આવી છે. ગામના લોકો પાસે આતંકીઓ પાણી માગી રહ્યા હતા જે દરમિયાન જ ગામના લોકોએ પોલીસને એલર્ટ કરી દીધી હતી. જેને કારણે આ બન્ને આતંકીઓને મારવામાં સફળતા મળી હતી. જોકે આ ઓપરેશન દરમિયાન એક જવાન શહીદ થયો છે અને અન્ય છ ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. ઓપરેશન દરમિયાન એક આતંકીએ સાંબા રેંજના અધિકારીઓ ડીઆઇજી સુનિલ ગુપ્તા, કઠુઆના એસપી અનાયત અલી ચૌધરીના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકીએ અનેક ગોળીઓ મારી હતી, જોકે અધિકારીઓ માંડ બચ્યા હતા. જે બાદ આ આતંકીને શોધીને તેને ઠાર મારવામાં આવ્યો હતો.  

એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ: PM મોદીએ કાશ્મીર મુદ્દે કરી હાઇલેવલ મીટિંગ 7 - image

હુમલા માટે પીઓકેમાં તોઇબા-જૈશએ કાવતરુ ઘડયું હોવાના રિપોર્ટ

ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે જ આતંકી હુમલા શરૂ થઇ ગયા છે. મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોઇ શકે છે અને હુમલા માટેનું કાવતરુ પીઓકેમાં ઘડાયું છે. ત્રણ મહિના પહેલા પીઓકેમાં લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનોએ પીઓકેમાં આ કાવતરુ ઘડયું હતું. વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી બસ પર હુમલા પાછળ પણ તોઇબાનો હાથ હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. એનઆઇએ આ હુમલાની તપાસ કરી રહી છે. જેમાં કેટલાક લોકલ ઓવર ગ્રાઉંડર વર્કર પણ સામેલ હોવાની શક્યતાઓ છે. 2021થી અત્યાર સુધી રાજૌરી અને પૂંચ જિલ્લામાં આતંકી હુમલાઓમાં 38 જવાનો શહીદ થયા છે, જ્યારે 11 નાગરિકો પણ માર્યા ગયા છે. 


Google NewsGoogle News