VIDEO : કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, મહિલાની સૂચના બાદ આખા વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ
Jammu Kashmir Terrorist News : આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરી 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ સુરક્ષા દળોએ ચોતરફ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલાએ આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ લોકોને જોતા તુરંત પોલીસને માહિતી આપી છે. ત્યારબાદ સુરક્ષા દળના જવાનોએ તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આખા વિસ્તારની ઘેરાબંધી કરાઈ
સુરક્ષા દળના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓરેશન ગ્રૂપ (SOG) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આખા વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. આખા વિસ્તારની ઘેરાબંધી કર્યા બાદ અહીં આવતા-જતા તમામ લોકો પર કડક દેખરેખ રાખવાની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
શકમંદોને શોધવા ડ્રોન અને સ્નિફર ડૉગ્સની પણ મદદ લેવાઈ
મળતા અહેવાલો મુજબ હીરાનગર સેક્ટર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલું છે. અહીં અગાઉ પણ ઘૂસણખોરીના અનેક બનાવો બન્યા હતા. સુરક્ષા એજન્સીઓને શંકાસ્પદો મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હોવાની આશંકા છે. પોલીસ અને સેનાની ટીમો સર્ચ ઓપરેશનને ખૂબ જ સાવધાનીથી અને રણનીતિક રીતે અંજામ આપી રહી છે. આ ઉપરાંત ડ્રોન અને સ્નિફર ડૉગ્સની પણ મદદ લેવાઈ છે.
કરીમાબાદ અને પુલવામામાં પણ સર્ચ ઓપરેશન
સુરક્ષા દળો દ્વારા પુલવામાના કરીમાબાદ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સૌથી વધુ કરીમાબાદમાં આતંકવાદીઓને આશરો અપાતો હોવાથી આ વિસ્તાર ખૂબ જ ચર્ચાસ્પદ છે. અહીં ઘણી વખત ઘૂસણખોરીની ઘટનાઓ બની છે. હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે અને સેના દ્વારા પૂરજોશમાં શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: ભારતના તમામ મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ