જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકી કર્યા ઠાર, હથિયારો-દારુગોળો જપ્ત

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Jammu Kashmir Encounter


Jammu Kashmir Encounter : ભારતીય સેનાએ આજે (14 જુલાઈ) મોટી ઘૂસણખોરી અટકાવવામાં સફળ થઈ છે. જમ્મુ-કાશ્મીરના એલઓસી પાસે કેરન સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સેનાએ આતંકીઓની નાપાક હરકતને નિષ્ફળ કરી દીધી છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ જણાવ્યું કે, આતંકવાદીઓની શોધખળ, તેમની પ્રવૃત્તિઓ, ઘૂસણખોરી પર સેનાની બાજ નજર છે અને તેમને અટકાવવામાં માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. હાલ ઠાર કરાયેલા આતંકવાદીઓના મૃતદેહો અને હથિયારો-દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં વધારો

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલામાં વધારો થયો છે. આ હુમલાઓ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા છે. આ જ મહિને 8મી જુલાઈ-2024ના રોજ કઠુઆના બદનોટા વિસ્તારમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલા સેનાના વાહન પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહિદ થયા હતા અને આઠ જવાનો ઘાયલ થયા હતા. રાજૌરીમાં પણ ભારતીય સેનાની શિબિર પર આતંકવાદી હુમલાની ઘટના સામે આવી હતી. આતંકવાદીઓએ અહીં સેનાના પોસ્ટ પર તહેનાત જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું, જેમાં જવાન ઘાયલ થયા હતા.

કુલગામમાં થયેલી અથડામણમાં બે જવાન થયા હતા શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સેનાના સતત પ્રયાસો અને પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે ગત સપ્તાહે સેનાને બાતમી મળી હતી કે, બે આતંકવાદીઓ કુલગામમાં છુપાઈને બેઠા છે. આ દરમિયાન સેના અને આતંકવાદીઓ વચ્ચે જુદી જુદી બે અથડામણ થઈ હતી, જેમાં છ આતંકવાદીઓ ઠાર કરાયા હતા, જ્યારે આ અથડામણમાં બે જવાનો શહીદ થયા હતા.

આ પણ વાંચો : યોગી સામે મોટો પડકાર: યુપીમાં 10 બેઠકો પર પેટાચૂંટણી, NDAના સાથી જ વધારશે ટેન્શન?

આ પણ વાંચો : દગાબાજોની ઓળખ થઈ ગઈ છે: ક્રોસ વોટિંગ બાદ ભડકી કોંગ્રેસ, કહ્યું- કાર્યવાહી થશે જ


Google NewsGoogle News