અંતરિક્ષમાં જતા પહેલા નોન-બાયોલોજિકલ PMએ મણિપુર જવું જોઈએ: ISRO પ્રમુખના નિવેદન પર જયરામ રમેશનો કટાક્ષ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
અંતરિક્ષમાં જતા પહેલા નોન-બાયોલોજિકલ PMએ મણિપુર જવું જોઈએ: ISRO પ્રમુખના નિવેદન પર જયરામ રમેશનો કટાક્ષ 1 - image


Image Source: Twitter

Jairam Ramesh Target PM Modi On ISRO Chief Statement: તાજેતરમાં જ ISROના પ્રમુખ એસ સોમનાથે કહ્યું હતું કે, જો અમે વડાપ્રધાનને અંતરિક્ષમાં મોકલી શકીએ તો અમને ખૂબ ગર્વ થશે. એસ સોમનાથના આ નિવેદન પર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, નોન-બાયોલોજિકલ વડાપ્રધાને અંતરિક્ષમાં જતા પહેલા મણિપુર જવું જોઈએ. 

જયરામ રમેશે કેમ કહી આ વાત

મીડિયા અહેવાલ પ્રમાણે ISRO પ્રમુખ એસ સોમનાથે કહ્યું હતું કે જો વડાપ્રધાન મોદી ભારતના પ્રથમ માનવ મિશન ગગનયાન હેઠળ અંતરિક્ષમાં જવા માગશે તો અમને ખૂબ આનંદ થશે. ગગનયાનને વર્ષ 2025માં લોન્ચ કરવામાં આવશે. ISRO પ્રમુખને પૂછવામાં આવ્યું કે જો વડાપ્રધાન મોદી ISROના માનવ મિશન હેઠળ અંતરિક્ષમાં જવા ઈચ્છે તો શું તમને ખુશી થશે? તેના જવાબમાં એસ સોમનાથે કહ્યું કે,  બિલ્કુલ અમને તેનાથી ખુશી થશે, પરંતુ તેમની (PM મોદી) પાસે બીજી ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ છે. તેમને પૂર્ણ કરવી એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. પરંતુ આ એક એવી ક્ષમતા છે જેને અમે હાંસલ કરવા માંગીએ છીએ કે અંતરિક્ષમાં માણસોને મોકલવાની ક્ષમતાને એટલી વિકસાવવામાં આવે કે તે ખૂબ જ સુરક્ષિત બની જાય અને અમે તેને હાંસલ કરવાની પ્રક્રિયામાં છીએ.

કોંગ્રેસ મણિપુર મુદ્દે કેન્દ્રને ઘેરી રહી છે

કોંગ્રેસ મણિપુર હિંસા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. વિપક્ષનો આરોપ છે કે પીએમ મોદીએ મણિપુર હિંસા પર મૌન જાળવી રાખ્યું છે અને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પૂરતા પગલાં લેવામાં નથી આવ્યા. મણિપુરમાં ગત વર્ષે મે મહિનામાં જાતિય હિંસા શરૂ થઈ હતી. આ હિંસામાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકોને વિસ્થાપનનો સામનો કરવો પડ્યો છે. બુધવારે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન પણ પીએમ મોદીએ મણિપુર મુદ્દે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો સતત પ્રયાસ કરી રહી છે.

જયરામ રમેશે PM મોદીને નોન-બાયોલોજિકલ કેમ કહ્યા?

PM નરેન્દ્ર મોદીએ મે 2024માં લોકસભા ચૂંટણી દરમિયાન એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે મારા માતા જીવિત હતા ત્યારે મને લાગતું હતું કે મારો જન્મ જૈવિક રીતે થયો છે. પરંતુ જ્યારે હું તેમના મૃત્યુ પછીના મારા અનુભવો જોઉં છું ત્યારે મને ખાતરી થાય છે કે ભગવાને મને કોઈ ખાસ હેતુ માટે મોકલ્યો છે.

PM મોદીએ કહ્યું કે આ શક્તિ મારા શરીરમાંથી નથી, ભગવાને મને આ આપી છે. ભગવાને મને તે કરવાની ક્ષમતા, શક્તિ, શુદ્ધ હૃદય અને પ્રેરણા આપી છે. હું ઈશ્વરે મોકલેલ સાધન છું. મને અહીં એક દૈવી મિશન પૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યો છે.

PMના આ નિવેદન પર રાહુલ સહિત અનેક વિપક્ષી નેતાઓએ કટાક્ષ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી કહે છે કે તેઓ જૈવિક નથી. તેઓ ઉપરથી ટપકતા આવ્યા છે. ભગવાને તેમને કામ કરવા માટે ભારત મોકલ્યા છે. ભગવાને તેમને અદાણી-અંબાણીને મદદ કરવા માટે તો મોકલ્યા છે પરંતુ ભગવાને તેમને ખેડૂતો અને મજૂરોની મદદ કરવા માટે નથી મોકલ્યા. 


Google NewsGoogle News