'સંસદની ઉપર કોઈ નથી', ફરી સુપ્રીમ કોર્ટ પર ભડક્યા જગદીપ ધનખડ
Jagdeep Dhankhar On Supreme Court: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ફરી સુપ્રીમ કોર્ટ પર ટીકા કરતાં સંસદ જ સુપ્રીમ (સર્વોચ્ચ) હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે. બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા પ્રત્યેક શબ્દો દેશના સર્વોચ્ચ હિતોને આધારે વર્ણવેલા હોવાનું જણાવતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં એક સંબોધનમાં કહ્યું કે, બંધારણનું પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે. પરંતુ મારા મતે નાગરિક જ સર્વોચ્ચ છે. દરેકની એક અલગ ભૂમિકા હોય છે. બંધારણને અંતિમ રૂપ આપનારા લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તેમની ઉપર કોઈ ઑથોરિટી નથી.
બંધારણ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે
ધનખરે જણાવ્યું કે, બંધારણ આપણે પસંદ કર્યું છે. જે જાહેર પ્રતિનિધિઓ મારફત તેમની ઇચ્છાઓ, આકાંક્ષાઓ, અને અભિવ્યક્તિનું પ્રતિબિંબ છે. ચૂંટણી દરમિયાન તેઓ તેને અંતિમ રૂપ આપવા માટે પ્રતિનિધિની પસંદગી કરે છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ બંધારણના અલ્ટીમેટ માસ્ટર છે. સંસદથી ઉપર કોઈ ઑથોરિટી નથી. સંસદ જ સુપ્રીમ છે.
આ પણ વાંચોઃ સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન
સુપ્રીમ કોર્ટે બંધારણની પ્રસ્તાવનાની વ્યાખ્યાઓમાં વિસંગતતાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. જેના લીધે ઉપરાષ્ટ્રપતિ ધનખરે ફરી એકવાર સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે એક મામલા(ગોલકનાથ કેસ)માં કહ્યું કે, પ્રસ્તાવના બંધારણનો હિસ્સો નથી. પરંતુ પ્રસ્તાવના એ દેશના સર્વોચ્ચ હિતોનો હાર્દ (અમૃત) છે. બીજા (કેશવાનંદ ભારતી) કેસમાં જણાવ્યું હતું કે, આ બંધારણનો હિસ્સો છે. સુપ્રીમ કોર્ટની બેવડી નીતિના કારણે ધનખર ફરી ભડક્યા છે.
25 જૂન, 1975 લોકશાહી માટે કાળો દિવસ
ઉપરાષ્ટ્રપતિએ દેશમાં ઇમરજન્સીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 25 જૂન, 1975 આપણા લોકશાહીનો કાળો દિવસ હતો. દેશની સુપ્રીમ કોર્ટે 9 હાઇકોર્ટની સલાહની અવગણના કરી હતી. ઇમરજન્સી દરમિયાન લોકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું. પરંતુ સોદાબાજી નથી કરી. લોકતંત્ર અભિવ્યક્તિ અને સંવાદ સાથે જોડાયેલું છે. જો અભિવ્યક્તિનું જ ગળું રૂંધાઈ જશે તો લોકતંત્ર ખતમ થઈ જશે. દિલ્હી યુનિવર્સિટીમાં ધનખરે કહ્યું કે, બંધારણીય પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે. પરંતુ મારા મત મુજબ એક નાગરિક જ સર્વોચ્ચ છે. દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા ભજવે છે. લોકશાહી દેશમાં વાતચીત મારફત ઉકેલો લાવી શકાય છે. તમામને સમાન વાતચીત કરવાનો હક છે. લોકતંત્રનું સ્વાસ્થ્ય જ વાતચીતની ગુણવત્તા પર નિર્ભર કરે છે. જો વાતચીતને ધનિકો, વિદેશી હિતો દ્વારા નિયંત્રિત કરવામાં આવે તો શું થાય? આપણે આ પક્ષપાત અને ભેદભાવથી ઉપર આવવું પડશે.