75% નોકરિયાત યુવાઓ સામે કેન્સરનું જોખમ, મેટાબોલિકના લક્ષણ દેખાયા, ICMRના અભ્યાસમાં દાવો

અભ્યાસમાં 45.2 ટકા કર્મચારીઓ વધુ વજનના, 16.85 ટકા મેદસ્વીગ્રસ્ત, 3.89 ટકા ડાયાબિટીસથી પીડિત અને 64.93 ટકામાં કૉલેસ્ટ્રોલનું સ્તર વધુ હોવાનો ખુલાસો

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
75% નોકરિયાત યુવાઓ સામે કેન્સરનું જોખમ, મેટાબોલિકના લક્ષણ દેખાયા, ICMRના અભ્યાસમાં દાવો 1 - image


Indian Council Of Medical Research Report : આજના સમયમાં નોકરીયાત યુવાઓમાં માનસિક તણાવ હોવાની સામાન્ય વાત છે, પરંતુ તમે એ જાણીને ચોંકી જશો કે, નોકરીયાત લોકોમાં કેન્સરનું જોખમ પણ રહેલું છે. નવી દિલ્હીમાં આવેલી ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના અભ્યાસમાં 75 ટકા કર્મચારીઓમાં મેટાબોલિક સિન્ડ્રોમ (Metabolic Syndrome) હોવાનો ખુલાસો થયો છે.

મેટાબોલિક સિન્ડ્રોમ એટલે શું?

મેટાબોલિક સિન્ડ્રોમ રોગ નહીં પણ એક સ્થિતિ છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ લક્ષણો 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે, પરંતુ જ્યારે તેઓ આ લક્ષણો સાથે 65 વર્ષની ઉંમર સુધી પહોંચે, ત્યાં સુધીમાં કેન્સરનું જોખમ વધી જાય છે. શરીરમાં રોગ હોવાના કારણે મેટોબોલિક સિન્ડ્રોમની સ્થિતિ ઉદભવે છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલના સંયુક્ત સ્વરૂપને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે. હૃદયની બીમારીઓ ઉપરાંત તે કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ પણ દર્શાવે છે.

64.93 ટકા કર્મચારીમાં કૉલેસ્ટ્રોલનું સ્તર વધુ

આઈસીએમઆર હેઠળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશને (National Institute of Nutrition) ત્રણ મોટી આઈટી કંપનીઓમાં કામ કરતા યુવાનો પર અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં તમામની ઉંમર 30થી ઓછી હતી. તપાસમાં દર બેમાંથી એક વ્યક્તિ વધુ વજન ધરાવતો અથવા મેદસ્વી હોવાનો ખુલાસો થયો છે. 10માંથી છ કર્મચારીઓમાં એચડીએલ એટલે કે કોલેસ્ટ્રોલનું સ્તર વધુ છે, જેના કારણે ભવિષ્યમાં હાર્ટ સંબંધીત બિમારીઓ વધવાની સંભાવના છે. અભ્યાસમાં 45.2 ટકા કર્મચારીઓ વધુ વજનના, 16.85 ટકા મેદસ્વીગ્રસ્ત, 3.89 ટકા ડાયાબિટીસથી પીડિત અને 64.93 ટકામાં કૉલેસ્ટ્રોલનું સ્તર વધુ હોવાનો ખુલાસો થયો છે.

કેન્સરનું જોખમ કેમ વધી રહ્યું છે?

અભ્યાસ મુજબ સૌથી વધુ નોકરિયાત યુવાઓ આઈટી અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) જેવા સેક્ટરમાં છે, પરંતુ અહીં કાર્યસ્થળો પર ભોજન અને વાતાવરણ તેમને સ્થૂળતા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણ આપી રહ્યું છે. મેડિકલ જનરલ એમડીસીપીઆઈ દ્વારા પ્રકાશિત ‘વ્યવસાયિક સ્વાસ્થ્ય પર રોગો અને પોષક વિકૃતિઓની અસર’માં આ અભ્યાસને સામેલ કરાયો છે.


Google NewsGoogle News