શું ભારતમાં બંધ થઈ જશે Whatsapp? કૉંગ્રેસ નેતાના સવાલ પર IT મંત્રીએ આપ્યો જવાબ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
શું ભારતમાં બંધ થઈ જશે Whatsapp? કૉંગ્રેસ નેતાના સવાલ પર IT મંત્રીએ આપ્યો જવાબ 1 - image
Image Twitter 

WhatsApp Service In India : માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વોટ્સએપને લઈને મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, મેટાએ ભારતમાં પોતાની વોટ્સએપની સર્વિસ બંધ કરવા બાબતે સરકારને કોઈ માહિતી આપી નથી. આઈટી મંત્રીએ આ નિવેદન દ્વારા  કૉંગ્રેસના નેતા વિવેક તન્ખા દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો. કૉંગ્રેસ નેતાએ પૂછ્યું હતું કે, શું વોટ્સએપ યુઝર્સની ડિટેલ્સ જાહેર કરવાના સરકારની સૂચનાઓનું પાલન ન કરવાને કારણે ભારતમાં પોતાની સર્વિસ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. 

આ પણ વાંચો:- ગાડીએ જોરથી ટર્ન લીધો અને પછી...: કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ડૂબી જવાથી ત્રણના મોતમાં નવો ખુલાસો

હકીકતમાં આ વર્ષની શરુઆતમાં વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટને ચેતવણી આપી હતી કે, જો કંપનીને મેસેજોનું એન્ક્રિપ્શન તોડવા માટે મજબૂર કરવામાં આવશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ નિવેદન બાદ ભારતમાં વોટ્સએપ યુઝર્સ ટેન્શનમાં હતા. મેટાએ ભારતના નવા આઇટી નિયમોને સીધો પડકાર ફેંક્યો હતો. મેટા તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ નિયમો ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

શું કહ્યું અશ્વિની વૈષ્ણવે

આ અંગે આઇટી મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લૅટફૉમ સંબંધિત સરકારી સૂચનાઓ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જારી કરવામાં આવ્યા છે. આ નિયમો ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષા, રક્ષણ અને અન્ય દેશો સાથે મિત્રતા જાળવી રાખવા માટે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જાહેર વ્યવસ્થા સિવાય ગુનાને ઉત્તેજિત આપે તેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટે છે.

માર્ક ઝકરબર્ગે કરી ચૂક્યા છે ભારતના વખાણ 

મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ પહેલાં જ મેસેજિંગ ટૅક્નોલૉજી અપનાવવા બદલ ભારતના વખાણ કરી ચૂક્યા છે. માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, ભારત આ ક્ષેત્રમાં વૈશ્વિક લીડર છે. 400 મિલિયન યુઝર્સ સાથે ભારત WhatsAppનું સૌથી મોટું બજાર છે. આ કારણથી બન્ને એકબીજા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.



Google NewsGoogle News