ISISની આડમાં ISIનું ભારત વિરુદ્ધ કાવતરું, પ્રમુખ મંદિર ટાર્ગેટ પર: આતંકવાદી શાહનવાઝનો ખુલાસો
Image Source: Twitter
- આ ત્રણેય આતંકવાદીઓ દિલ્હીમાં પણ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
નવી દિલ્હી, તા. 03 ઓક્ટોબર 2023, મંગળવાર
પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું તે ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના મામલે ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે આવ્યા છે. ગઈ કાલે દિલ્હી પોલીસે ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી આતંકવાદી શાહનવાઝે અનેક ખુલાસા કર્યા છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ શેલના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ફરતુલ્લા ગૌરીના સંપર્કમાં આ ત્રણેય આતંકવાદીઓના હોવાથી એવાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, આ પુરુ ષડયંત્ર પાકિસ્તાન અને ISI જ રચી રહ્યું હતું. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ઓનલાઈન અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને રેડિકલાઈઝ કરે છે અને પછી તેમને આતંકવાદી હુમલા માટે તૈયાર કરે છે.
પાકિસ્તાનનું પ્લાનિંગ
ISIના ષડયંત્ર હેઠળ આ યુવાનોને ISISના આમિરની શપથ લેવડાવવામાં આવે છે જેથી આતંકવાદી હુમલા બાદ જો ભારતીય એજન્સી તેમની ધરપકડ કરે તો પણ પાકિસ્તાન અને ISIના નામ સામે ન આવે. દિલ્હી પોલીસે સૌથી પહેલા ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક શાહનવાઝની ધરપકડ કરી હતી જે ફરાર હતો ત્યારબાદ અન્ય બે આતંકીઓની પણ ધરપકડ કરી લીધી હતી.
પાકિસ્તાન આપી રહ્યું આશ્રય
શાહનવાઝ પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહેતો હતો. તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. શાહનવાઝ પર ISIS મોડ્યુલ સાથે સંબંધ રાખવાનો આરોપ છે. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે તે ગુજરાતના અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ ફરતુલ્લા ગૌરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતો જે હવે પાકિસ્તાનમાં ISIના આશ્રયમાં રહે છે. આ ત્રણેય તેના આદેશ પર જ દિલ્હીમાં પણ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
આતંકવાદીઓના ટાર્ગેટ પર હતા આ પ્રખ્યાત સ્થળો
આતંકવાદીઓએ ખુલાસો કરતા જણાવ્યું કે, દેશના અનેક પ્રખ્યાત સ્થળો તેમના ટાર્ગેટ પર હતા. આ દરમિયાન તેમનો ટાર્ગેટ પર અયોધ્યાનું રામ મંદિર, મુંબઈનું છાબડા હાઉસ અને દેશના અનેક મોટા નેતાઓ હતા. આ આતંકવાદીઓ પોતાનો પ્લાન પૂરો કરે એ પહેલા જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે.