ભારતનો કેનેડાને જડબાંતોડ જવાબ : કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા આદેશ
- કેનેડાને દુ:ખે છે પેટમાં અને કૂટે છે માથું : નિરીક્ષકો
- કેનેડા-ભારત રાજદ્વારી સંબંધો ખરાબે ચઢી ગયા છે : ટ્રૂડોએ ભારત પર પાયા વિનાના આક્ષેપો મૂક્યા : ભારતનો કઠોર જવાબ
નવી દિલ્હી : ખાલીસ્તાની આતંકી નિજજરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે, તેવા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોએ કેનેડાની સંસદમાં જ ભારત ઉપર સીધા આક્ષેપો કરતાં ભારત અને કેનેડાના સંબંધો ખરાબે ચઢી ગયા છે. કેનેડાએ આ આક્ષેપો કર્યા પછી ભારતીય હાઈકમિશનના એક રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપતાં ભારતે વળતા પ્રવાહ રૂપે કેનેડાનાં ભારત સ્થિત હાઈકમિશનના એક રાજદ્વારીને ભારત છોડવા આદેશ આપી દીધો છે.
ભારતનાં વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈકમિશ્નર કેમરૂન મેક્કેઇને આજે બોલાવી કેનેડીયન હાઈકમિશનના એક વરિષ્ટ અધિકારીને પાંચ દીવસમાં ભારત છોડી દેવા આદેશ આપ્યો છે.
તે માટે કારણો દર્શાવતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત-વિરોધી ગતિવિધિઓમાં તેમની ભાગીદારી ભારતની આંતરિક બાબતોમાં પણ હસ્તક્ષેપ કરવાની તેમની હરકતોને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાસ્તવમાં જી-૨૦ સમિટમાં પણ જસ્ટીન ટ્રુડો ઉપર પસ્તાળ પડી હતી. ત્યારથી ટ્રુડો ભારત વિરોધી કાર્યવાહીમાં લાગી પડયા છે. તેમણે ભારતમાં જેની ઉપર ૧૦ લાખનું ઇનામ હતું તેવા શસ્તરોના તસ્કર, ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાથી કેનેડાની સંસદમાં આડકતરો આક્ષેપ કરતાં કહ્યું હતું કે આવી અમાનુષ હત્યામાં કોઈ બીજા દેશ કે વિદેશી સરકારની સંલિપ્તતા, ચલાવી નહીં શકાય. આવાં વિધાનો કર્યા પછી તેમણે ભારતીય હાઈકમિશનના એક ઉચ્ચ અધિકારીને અનીચ્છનીય વ્યક્તિ કહી. કેનેડા છોડી દેવાયેલા આદેશને પગલે ભારતે વળતા જવાબમાં કેનેડાનાં હાઈકમિશનના એક અધિકારીને ભારત છોડવા આદેશ આપ્યો હતો.
આ વિવાદ વંટોળ વચ્ચે નિરીક્ષકો જણાવે છે કે ટ્રૂડોને દુ:ખે છે પેટમાં અને કૂટે છે માથું તેવો ઘાટ થયો છે. વાસ્તવમાં ભારતે લડાખ અને દોકલામ તથા અરૂણાચલમાં ચીનને જડબાં તોડ જવાબ આપ્યા પછી ભારતની સેનાકીય શક્તિની દુનિયાને જાણ થઇ ગઈ છે. ઇંડો-પેસિફિક વિસ્તારમાં પણ યુએસની સાથે રહી, ભારત ચીનને પડકારી રહ્યું છે. તેનાં ચંદ્રયાન-૩ અને સૂર્યનમસ્કાર નામક સૂર્યયાનની સફળતાને ભારતની વિજ્ઞાાન શક્તિની દુનિયાને જાણ કરાવી દીધી છે. તેમાં જી-૨૦ની સફળતાએ શિરમોર પિચ્છ ચઢાવ્યું છે. આ કેનેડાથી સહન થઇ શક્તું નથી. ચોગમ મીટમાં ઇંગ્લેન્ડના રાજા કે રાણીની જમણી બાજુએ પહેલાં કેનેડાના વડાપ્રધાન હોય છે, પછી ભારતના વડાપ્રધાન હોય છે. ડાબી બાજુએ પહેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હોય છે. પછી પાકિસ્તાનના વડાપ્રધાન રહે છે. પાકિસ્તાનનો હવે લગભગ નામ શેષ રહ્યું છે. તેવામાં ભારતનો દબદબો વિશ્વભરમાં એક લશ્કરી અને આર્થિક મહાસત્તા જેવો રહ્યો છે. જી-૨૦ પરિષદમાં આફ્રિકન યુનિયનના પ્રમુખને બોલાવી તેને પૂરૂ માન આપ્યા પછી સંભવ તે પણ છે કે હવે મળનારી યુનોની મહાસભામાં, ભારતને સલામતી સમિતિના કાયમી સભ્ય તરીકે પણ નિર્વાચિન કરવામાં આવે આ બધું એકિ સાથે ટ્રૂડોનાં મનમાં ઘોળાઈ રહ્યું હોય, તેવામાં જી-૨૦ પરિષદમાં તેમની ઉપર પડેલી પસ્તાળથી અંદરથી ખોખરા ધૂંધવાયા હોય. આ તેમના પેટમાં દુ:ખતું હશે. તેથી ભારતના રાજદ્વારી ઉપર આક્ષેપો મુકી તેમને અનીચ્છનીય વ્યક્તિ કહી. દેશ છોડવા કહ્યું હશે. પરંતુ તેથી ફેર શો પડવાનો છે તેમ કહેતાં નિરીક્ષકો જણાવે છે કે ટ્રૂડોને દુ:ખે છે પેટમાં અને આ રીતે તેઓ કૂટે છે માથું.
વધુમાં પ્રાપ્ય માહિતી જણાવે છે કે, ભારતે જી-૨૦ મીટ સમયે જ ટ્રૂડોને ખરેખરી સુણાવી કેનેડા સાથેની વ્યાપાર મંત્રણા બંધ કરી દીધી છે. દરમિયાન કેનેડા વંશનાં જ પત્રકાર એન્ડ્ર્યુ મેટ્રોવિકાએ લખ્યું હતું કે ટ્રૂડો તમારો સમય પૂરો થયો છે. હવે હટી જાઓ.