ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ૭ ઓગસ્ટ ૧૯૦૬માં કોલકતા ખાતે ફરકાવાયો હતો,જાણો ત્રિરંગાનો ઇતિહાસ
નવી દિલ્હી,16 ઓગસ્ટ,2022,મંગળવાર
ભારતની સંવિધાનસભાએ વર્તમાન સ્વરુપમાં જોવા મળતા રાષ્ટ્રીય ધ્વજને ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ અપનાવ્યો હતો. આ સંવિધાનસભાની બેઠક ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી મળ્યાના ૨૪ દિવસ પહેલા મળી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સ્વતંત્ર ભારતનો પ્રથમ ધ્વજ ૧૬ ઓગસ્ટના રોજ ફરકાવ્યો હતો.
રાષ્ટ્રધ્વજમાં સમાવિષ્ટ વિશિષ્ટ ત્રણ રંગોના કારણે તિરંગા તરીકે ઓળખાય છે. રાષ્ટ્રધ્વજનું વર્તમાન સ્વરુપ ૧૦૦થી વર્ષોનો પડાવ પસાર કર્યા પછી બન્યું છે. આપણે જેને તિરંગો કહીએ છીએ તેને ડિઝાઇન કરવાનું માન આંધ્રપ્રદેશના સ્વાતંત્રતા સેનાની પિંગલી વૈકેયાને મળે છે એ પહેલા પણ ધ્વજ તૈયાર કરવાના અને ફરકાવવાના પ્રયાસો થયા હતા.
પ્રથમ ભારતીય ધ્વજ ૭ ઓગસ્ટ ૧૯૦૬ના રોજ કોલકત્તાના પારસી બગાન સ્કવેરમાં ફરકાવવામાં આવ્યો હતો. આ ઝંડા ઉપર લીલા, પીળા અને લાલ રંગની ત્રણ પટ્ટીઓ હતી. ઉપર કમળના ફૂલની હારમાળા હતી. ઝંડાની વચ્ચેની પટ્ટીમાં વંદે માતરમ લખવામાં આવ્યું હતું.
નીચેની પટ્ટીમાં સૂર્ય અને ચંદ્રના સાંકેતિક ચિહ્નો દોરવામાં આવ્યા હતા. અગાઉ બીજો પણ એક ધ્વજ હતો જેમાં લાલ રંગ સ્વતંત્રતાનું પ્રતિક,પીળો રંગ જીત અને સફેદ રંગ સાદગી, સ્વચ્છતાનું પ્રતિક માનવામાં આવ્યો હતો. વચ્ચે એક વજ્રનું નિશાન હતું જે બૌધ્ધ ધર્મમાંથી લેવામાં આવ્યું હતું. કેટલાક આને પણ પહેલો ધ્વજ હોવાનું માને છે.
ભારતનો ધ્વજ મેડમ કામાએ વિદેશમાં રહેતા ક્રાંતિકારીઓ સાથે જર્મનીના બર્લિન ખાતે લહેરાવ્યો હતો. આ ભારતનો બીજો અને વિદેશની ધરતી પર લહેરાવવામાં આવેલો પ્રથમ ભારતીય ધ્વજ હતો. મેડમ કામાના આ પ્રયાસથી જ પ્રથમવાર જ દુનિયાનું ધ્યાન ભારતના ધ્વજ તરફ ગયું હતું.
આ ધ્વજ પહેલાના ધ્વજ કરતા ખાસ અલગ ન હતો. જેમાં લાલના સ્થાને નારંગી રંગ ઉમેરવામાં આવ્યો હતો. ધ્વજના ત્રણ પટ્ટામાં ઉપર નારંગી, મધ્યમાં પીળો અને અને નીચે લીલો રંગ હતો. આ ધ્વજની વચ્ચેની પટ્ટીમાં વંદ માતરમ લખ્યું હતું જયારે નીચેની લીલા રંગની પટ્ટીમાં સૂર્ય અને ચંદ્રના ચિત્ર સંકેત હતા.
ત્રીજો ધ્વજ ૧૯૧૭માં ડૉ એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે હોમ રુલ આંદોલન દરમિયાન લહેરાવ્યો હતો. જો કે આ ઝંડાની ડાબી તરફ ખૂણામાં અંગ્રેજોના ઝંડા યુનિયન જેકનું નિશાન જયારે બાકીના આઠ પટ્ટામાં વારાફરથી લાલ અને લીલો રંગના પટ્ટા હતા. આ પટ્ટામાં સપ્તર્ષી નક્ષત્ર, અર્ધ ચંદ્ર અને તારાનો સમાવેશ થતો હતો. હોમરુલ આંદોલન નિમિત્તે તૈયાર થયેલા આ ધ્વજે ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. હોમ રુલ આંદોલન સાથે એની બેસેન્ટનું નામ ઇતિહાસમાં ખૂબ આદરથી લેવામાં આવે છે.
ચોથો ધ્વજ ૧૯૧૬માં પિંગલી વૈકયા નામના સ્વાતંત્રતા સેનાનીએ દેશની એકતા પ્રદર્શિત કરવા તૈયાર કર્યો હતો. પિંગલીએ રાષ્ટ્રીય ધ્વજ નિર્માણ કરવાની મહાત્મા ગાંધીને વાત કરી હતી. પિંગલી અને ગાંધીજી વચ્ચે દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર મુલાકાત થઇ હતી. એ સમયે પિંગલી અંગ્રેજોના ભારતીય સૈન્યમાં સૈનિક તરીકે બોઅર લડાઇમાં ભાગ લેવા આવ્યા હતા. પિંગલી ભારત આવ્યા એ પછી પણ ગાંધીજીના સંપર્કમાં રહયા હતા.
ગાંધીજીએ પોતાના પ્રખર અનુયાયીને ભારતના આર્થિક ઉત્થાન માટે મહત્વના ગણાતા રેટિંયોને ધ્વજમાં સામેલ કરવાની સલાહ આપી હતી. પિંગલીએ ભારતનો ધ્વજ તૈયાર કરતા પહેલા પાંચ વર્ષમાં ૫૦ જેટલા દેશોના ધ્વજનો અભ્યાસ કર્યો હતો. આ ધ્વજમાં સૌથી ઉપર સફેદ રંગ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગનો પટ્ટો હતો. ૧૯૨૧માં આ ઝંડો પ્રથમવાર વિજયવાડાના સંમેલનમાં ફરકાવવામાં આવ્યો હતો.
૧૯૩૧માં ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ કમિટીની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર થયો જેમાં ભારતના તિરંગા ધ્વજને મંજુરી મળી હતી. ધ્વજમાં ઉપર કેસરિયો, વચ્ચેના પટ્ટામાં સફેદ અને નીચે લીલો રંગ રાખવામાં આવ્યો હતો. વચ્ચેની સફેદ રંગની પટ્ટી પર વાદળી રંગથી ગાંધીજીને પ્રિય રેેટિંયો ધ્યાન ખેંચતો હતો. વેંકયા પિંગલીએ ડિઝાઇન કરેલા ધ્વજનો જ થોડો ફેરફાર હતો. આથી જ તો વેંકયા પિંગલીને ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર ગણવામાં આવે છે.
(૬) આઝાદી પછી ધ્વજમાં રેટિંયાના સ્થાને અશોક ચક્ર સામેલ કરવામાં આવ્યું હતું. આ ચક્ર ભારતના મહાન સમ્રાટ અશોકે ધર્મ ચક્ર તરીકે સામેલ કર્યુ હતું તેની ઐતિહાસિક યાદ અપાવે છે. ૧૯૬૫માં દુનિયાના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતીય ધ્વજ ફરકયો હતો. ભારતનો તિરંગો ૧૪ નવેમ્બર ૨૦૦૮ના રોજ ભારતના ધ્વજને ચંદ્રની સપાટી પર પહોંચાડવામાં આવ્યો હતો.
આ સાથે જ ચંદ્ર પર ધ્વજ ફરકાવનારો ભારત ચોથો દેશ બન્યો હતો. ભારતના રાષ્ટ્રીય ધ્વજ ૧૯૭૧માં અંતરિક્ષની યાત્રા કરી હતી. બીજી વાર પણ વિંગ કમાંડર રાકેશ શર્મા અંતરિક્ષમાં લઇ ગયા હતા. તિરંગો લહેરાતો જોઇને દેશભકિતની એક લહેર દોડી જાય છે. આ ધ્વજની આન બાન અને શાન માટે છેલ્લા ૭૫ વર્ષમાં અનેક જવાનોએ સરહદ પર બલિદાન આપ્યા છે.