ભારતીય રેલવેએ ટ્રેનના મુસાફરોને ટિકિટ રદ કરવાની જંજટમાં આપી રાહત, જાણી લો નવો નિયમ
અનિવાર્ય સંજોગોના કારણે યાત્રા રદ કરવી પડે તો ચિંતા ના કરો
હવે તમે તમારી રેલવે ટિકિટ કુટુંબના અન્ય સભ્યના નામે ટ્રાન્સફર કરી શકો છો
તમે રેલવેમાં ટિકિટ બૂક કરાવી છે અને કોઇ સંજોગોમાં તમે મુસાફરી નથી કરી શક્તા તો હવે તમારી ટિકિટ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવી શક્ય બનશે. ભારતીય રેલવે (Indian Railway) દ્વારા હવે આ પ્રકારે ટિકિટ ટ્રાન્સફર (Ticket Transfer)ને મંજૂરી આપવામાં આવી છે. હવે કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાની માથાકૂટમાંથી મુક્તિ મળશે. બીજી તરફ, જો તમારા કોઇ કુટુંબીજનને યાત્રા કરવી છે તો તેને કન્ફર્મ ટિકિટ મળી જશે.
૨૪ કલાક પહેલા રિક્વેસ્ટ આપવી જરૂરી
મુસાફર તેની કન્ફર્મ ટિકિટ તેના પરિવારના અન્ય સભ્ય જેમ કે પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીના નામે ટ્રાન્સફર કરી શકે છે. આ માટે પેસેન્જરે ટ્રેન ઉપડવાના ૨૪ કલાક પહેલા રિક્વેસ્ટ આપવી પડશે. ટિકિટની પ્રિન્ટ આઉટ લઇને નજીકના રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર ઉપર પહોંચી જેના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની હોય, તેના આઈડી પ્રુફ જેમ કે આધાર અથવા વોટિંગ આઈડી કાર્ડ સાથે અરજી કરવાની હોય છે. આ પછી, ટિકિટ પર પેસેન્જરનું નામ હટાવીને જે સભ્યના નામે ટિકિટ ટ્રાન્સફર કરવામાં આવી છે તેનું નામ ચઢાવવામાં આવે છે.
ટિકિટ ટ્રાન્સફર કર્યા બાદ બદલી નહીં શકાય
જો મુસાફ૨ સરકારી કર્મચારી છે અને પોતાની ફરજ પર જઈ રહ્યો છે, તો તે ટ્રેન ઉપડવાના ૨૪ કલાક પહેલા અરજી કરી શકે છે. આ ટિકિટ તે વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવામાં આવશે જેના માટે વિનંતી કરવામાં આવી છે. જો લગ્નમાં જતા લોકો સામે આવી સ્થિતિ આવે તો એમણે કંકોત્રી જેવા જરૂરી દસ્તાવેજો સાથે ૪૮ કલાક પહેલા અરજી કરવાની રહેશે. આ સુવિધાનો લાભ ઓનલાઈન પણ મેળવી શકાય છે. ટિકિટ ટ્રાન્સફર માત્ર એક જ વાર થઈ શકે છે, એટલે કે જો મુસાફરે તેની ટિકિટ એક વખત અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી હોય તો તે બદલી નહીં શકે.