ચીન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી: ભારત સરકાર 400 ચાઈનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરશે

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ચીન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી: ભારત સરકાર 400 ચાઈનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરશે 1 - image


Chinese Companies Registration : વૈશ્વિક મહાસત્તા બનવા માટે ભારત અમેરિકા અને પશ્ચિમી દેશો સારા સંબંધ રાખીને તાલથી તાલ મિલાવી આગળ વધી રહ્યું છે તો બીજી તરફ દરેક ક્ષેત્રે ભારતના કટ્ટર પ્રતિધ્વંધિ ચીનને લપડાક આપવા પણ કટિબદ્ધ છે. ભારત સરકાર ચીન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ અનુસાર ભારત 3 મહિનામાં 400 ચીની કંપનીઓની માન્યતા રદ્દ કરી શકે છે. 

કેન્દ્ર સરકારના નેજા હેઠળનું મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ આગામી ત્રણ માસમાં દેશના 17 રાજ્યોમાં રજિસ્ટર્ડ 400 ચાઇનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરી શકે છે. નાણાકીય ગોટાળા-ધાંધલબાજી અને અન્ય કેટલાક કારણોસર મંત્રાલય આ કાર્યવાહી કરી શકે છે. 

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, કોર્પોરેટ અફેર્સ વિભાગ 700 કંપનીઓની તપાસ કરી રહ્યું છે. તેમાંથી 600 ચાઈનીઝ કંપનીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમાંની 300-400 કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે. ખંભાતી તાળાની કગાર પર ઉભેલી કંપનીઓમાં લોન એપ, ઓનલાઈન જોબ વગેરે જેવા સેગમેન્ટની જ મોટાભાગની કંપનીઓનો સમાવેશ થાય છે.

એમસીએ દેશમાં ચાલતી આ પ્રકારની લોન એપ્લિકેશનની છેલ્લા કેટલાક વર્ષોથી સઘન તપાસ કરી રહ્યું છે. આ એપ થકી લોન આપવા અયોગ્ય માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે અને નાણાંકીય નિયમોનું ઉલ્લંઘન કરીને જનતા સાથે છેતરપિંડી થઈ રહી હોવાની અનેક ફરિયાદો મળી છે. 

ચીન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી: ભારત સરકાર 400 ચાઈનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરશે 2 - image

ડિજિટલ લોન એપનો વધતો ત્રાસ :

તાજેતરના વર્ષોમાં ડિજિટલ લોન એપ્સની વધતી સંખ્યા આરબીઆઈ સહિત સરકારની ચિંતા વધારી રહી છે અને તેમાંની મોટાભાગની એપ ચીની કંપનીઓ સાથે સંકળાયેલી છે. આ કંપનીઓ પર કડક વસૂલાત, ખૂબ ઊંચા વ્યાજદર વસૂલવાનો અને અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ સિવાય ભારતમાંથી ગેરકાયદેસર ફંડ અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાનો પણ આરોપ છે. અનેક કંપનીઓમાં ભારતીય ડાયરેક્ટર છે, જ્યારે બેન્ક એકાઉન્ટ ચીનથી ઓપરેટ થાય છે.

કંપની એક્ટની કલમ 248 હેઠળ બિઝનેસ બંધ કરવાની પ્રક્રિયામાં 3 મહિનાનો સમય લાગે છે. આ કંપનીઓને પહેલા નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવશે. એક મહિના પછી બીજી નોટિસ મોકલવામાં આવશે. જો બંને નોટિસનો કોઈ જવાબ નહીં મળે તો કંપનીનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે આ કાર્યવાહીનો સામનો કરનાર સંભવિત 300-400 કંપનીઓ હાલ દેશના 17 રાજ્યોમાં હાજર છે જેમાં મોટાભાગની દિલ્હી, બેંગ્લોર, ઉત્તર પ્રદ્દેશ, આંધ્ર પ્રદ્દેશ, મુંબઈ, ચેન્નાઈ વગેરે સ્થળોએ સ્થિત છે.

આ પણ વાંચો : Indian Hockey Team: ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ! ઓલિમ્પિકમાં 52 વર્ષ પછી ઑસ્ટ્રેલિયાને હરાવ્યું


Google NewsGoogle News