સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની 'X' પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ
Indian Govt Defends Sahyog Portal : ઈલોન મસ્કની કંપની એક્સે ભારત સરકાર પર સહયોગ પોર્ટલના માધ્યમથી સેન્સરશીપનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેના પર કેન્દ્ર સરકાર સખત વિરોધ નોંધાવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે ઈલોન મસ્કની કંપનીને જવાબ આપતાં આરોપોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે.
હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારનો એક્સને જવાબ
સરકારનો દાવો છે કે કંપનીએ IT નિયમોની કલમોની ખોટી વ્યાખ્યા કરી છે. સરકારની દલીલ છે કે કલમ 69A હેઠળ કેન્દ્ર સરકારને વિશિષ્ટ પરિસ્થિતિમાં આદેશ આપવાની સ્પષ્ટ અનુમતિ છે તથા ઓનલાઇન સામગ્રી પર પ્રતિબંધ પણ લગાવી શકે છે. આટલું જ નહીં એક્સે સરકારના સહયોગ પોર્ટલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો જેના પર પણ સરકારે વિસ્તૃત જવાબ આપ્યો છે. સરકારની દલીલ છે કે આ પોર્ટલ ગેરકાયદે ઓનલાઇન સામગ્રી વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવા માટેનું મંચ છે. સહયોગ પોર્ટલને સેન્સરશીપ ટૂલ બતાવવું ભ્રામક છે. એક્સ જેવી વૈશ્વિક કંપનીનો આવો દાવો અત્યંત ખેદજનક અને અસ્વીકાર્ય છે.
એક્સનો કેન્દ્ર સરકાર પર શું આરોપ હતો અને સમગ્ર ઘટના શું છે?
ઈલોન મસ્કની કંપની X કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા 79(3)(બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા X પર કોન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઈ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે.
કેન્દ્ર સરકાર પર મનફાવે તેમ કન્ટેન્ટ બ્લોક કરાવવાનો આરોપ
X કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા 79(3)(બી)ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મનફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા 69એના નિયમોનું ઉલ્લંઘન છે. કોન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતાં પહેલા સુનાવણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. આટલું જ નહીં સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ. જોકે સરકાર આ પ્રક્રિયાને નજર અંદાજ કરી રહી છે. આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થશે.
અગાઉ પણ આ જ મુદ્દે થયો હતો કેસ
નોંધનીય છે કે અગાઉ 2022માં પણ X કોર્પ કંપનીએ કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર આપ્યો હતો. તે સમયે કંપનીએ કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.