ઈઝરાયલથી ભારતીયોની વતન વાપસી માટે કેન્દ્ર સરકાર ચલાવશે 'ઓપરેશન અજય', જયશંકરનું એલાન
વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે
વિદેશમંત્રીએ કહ્યું - વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને ભલાઈ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ
ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં (Israel vs Hamas War) સંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન અજય (Operation Ajay) રાખવામાં આવ્યું છે.
ડૉ. એસ.જયશંકરે આ માહિતી આપી
વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આ માહિતી આપતાં કહ્યું કે ઈઝરાયલથી પરત આવવા માગતા લોકો માટે અમે વતન વાપસી અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ. તેના માટે અમે ઓપરેશન અજય લોન્ચ કર્યું છે. તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને ભલાઈ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા કેટલી?
એક આંકડા અનુસાર ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા 18,000 જેટલી છે. તેઓ વર્ક કે સ્ટડી માટે ત્યાં ગયા છે. અહીં રહેતા ભારતીયોનો એક મોટો હિસ્સો દેખરેખ કરનારા તરીકે પણ કામ કરે છે પણ ત્યાં એક હજાર વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે.