ઉદયનિધિ સ્ટાલિન ફરી ચર્ચામાં, IND vs PAK મેચમાં 'જય શ્રી રામ'ની નારેબાજી પર જુઓ શું બોલ્યાં
આ મેચમાં ભારતીય ટીમને જોરદાર સમર્થન મળ્યું
ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને 7 વિકેટે ધૂળ ચટાડી
image : IANS |
ICC World Cup 2023 | અમદાવાદમાં ભારત અને પાકિસ્તાની (IND vs PAK) વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. જોકે આ મેચમાં ભારતીય ટીમને જોરદાર સમર્થન મળ્યું હતું. જેના જોરે ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને 7 વિકેટે ધૂળ ચટાડી હતી. મેચ દરમિયાન મોદી સ્ટેડિયમ ખીચોખીચ (Ahmedabad) ભરાયેલું હતું. એક લાખ જેટલા લોકોની ભીડે આ દરમિયાન જય શ્રી રામની (Jai Shri Ram) નારેબાજી કરી ભારતીય ટીમને સપોર્ટ કર્યો હતો. જોકે હવે આ મામલે એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિન (Udhayanidhi Stalin) ક્રિકેટ ફેન્સ પર બગડ્યાં છે. તેમણે આવી નારેબાજી સામે વાંધો ઊઠાવ્યો હતો.
સ્ટાલિને શું કહ્યું ...
સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરી ચૂકેલા ઉદયનિધિ સ્ટાલિને આ વખતે કહ્યું છે કે ભારત તેની ખેલ ભાવના અને અતિથિના સત્કાર માટે જાણીતું છે. જોકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનના ખેલાડીઓ સાથે જે પ્રકારનું વર્તન કરાયું તે અસ્વીકાર્ય અને નીચલા સ્તરનું હતું. રમતને દેશોને એકજૂટ કરનાર તાકાત બનાવવી જોઈએ અને સાચા ભાઈચારાને પ્રોત્સાહન આપવું જોઈએ. તેને નફરત ફેલાવતા હથિયાર તરીકે ઉપયોગમાં લેવી ટીકાને પાત્ર છે.
જય શ્રી રામની નારેબાજીથી ગુંજી ઊઠ્યો નમો સ્ટેડિયમ
મેચ દરમિયાન જય શ્રી રામની નારેબાજી સાથે નમો સ્ટેડિયમ (Narendra Modi Stadium) ગુંજી ઊઠ્યો હતો. ભારતીય ક્રિકેટ ફેન્સ પાકિસ્તાની ક્રિકેટર્સને ખિજવતા હતા અને ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યા હતા. મોહમ્મદ રિઝવાન સહિત અનેક પાકિસ્તાની ક્રિકેટર્સે ફેન્સની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.