Get The App

ભારત-મધ્ય પૂર્વે યુરોપ આર્થિક કોરિડોર વિશ્વ વ્યાપાર માટે સૈકાઓ સુધી સહાયભૂત રહેશે : નરેન્દ્ર મોદી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ભારત-મધ્ય પૂર્વે યુરોપ આર્થિક કોરિડોર વિશ્વ વ્યાપાર માટે સૈકાઓ સુધી સહાયભૂત રહેશે : નરેન્દ્ર મોદી 1 - image


જી-૨૦માં આફ્રિકન યુનિયનને સભ્યપદ મળ્યું તેથી આનંદ

મન કી બાતમાં તેઓએ સિલ્ક રૂટનો પણ ઉલ્લેખ કર્યો; સાથે ચંદ્રયાન-૩ અને જી-૨૦ની સફળતા વિષે પણ તેમણે કહ્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેઓના મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત-મધ્યપૂર્વ યુરોપ ઇકોનોમિક કોરીડોર સૈકાઓ સુધી વિશ્વ વ્યાપાર માટે સહાયભૂત રહેશે. સાથે વિશ્વ ભારતનાં આ દર્શનને સંભારતું રહેશે.

આ સાથે તેઓએ પ્રાચીન સિલ્ક રૂટનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તે સમયે તો ભારત-સમૃદ્ધ હતું એક મહત્ત્વનું ઉત્પાદક રાષ્ટ્ર હતું અસામાન્ય વ્યાપાર શક્તિ પણ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સંપન્ન થયેલી જી-૨૦ શિખર પરિષદનો ઉલ્લેખ કર્યો હતો. અને તેની સફળતાઓ પણ વર્ણવી હતી. વિશેષઃ તેમાં આફ્રિકન યુનિયનને પણ જોડાવા માટે વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું હતું કે તે સાથે વિશ્વ સમસ્તે ભારતની નેતૃત્વ શક્તિ અને તેનાં નેતૃત્વની પ્રશંસા કરી છે. તેઓ મૂળભૂત ઉપર આવતાં કહ્યું હતું કે એક તરફ જી-૨૦ને સફળતા મળી તો બીજી તરફ ચંદ્રયાન-૩ પણ સફળ રહ્યું. તેથી દેશભરના લોકો આનંદિત થઇ રહ્યા છે.

આ શિખર પરિષદ જ્યાં યોજાઈ હતી તે ભારત મંડપમ્ તો આજે દુનિયાભરમાં એક સેલિબ્રિટી સમાન બની ગયું છે અને ત્યાં રહેતાં સ્ટેટ ઓફ ચાર્ટ કોન્ફરન્સ હોલમાં ઘણાએ સેલ્ફી પણ ખેંચાવી હતી.

વડાપ્રધાને તેઓની દર માસે અપાતી મન કી બાત કાર્યક્રમમાં, તા. ૨૭મી સપ્ટેમ્બરે આવતા વિશ્વ ટુરીઝમ ડેનો ઉલ્લેખ કરતા પ્રવાસન ઉદ્યોગ ઉપર પણ ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે આ ઉદ્યોગ ઓછામાં ઓછી મૂડી રોકાણ છતાં વધુમાં વધુ રોજગારીઓ ઉભી કરે છે. પરંતુ પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણી ઘણી વિશ્વસનીયતા અનિવાર્ય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની વિશ્વસનીયતા વધી રહી છે. તે પ્રત્યે પણ ધ્યાન દોરતાં વડાપ્રધાન કહ્યું હતું કે જી-૨૦ પરિષદ પછી તો તે વિશ્વસનીયતા ઘણી વધી ગઈ છે.

જી-૨૦ વિષે વધુમાં ઉલ્લેખ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે તે પરિષદમાં ઉપસ્થિત રહેવા આવેલ એક લાખથી વધુ વિદેશી પ્રતિનિધિઓ ભારતના વિવિધ પ્રદેશોમાં ફર્યાનું અને ભારતની વિવિધતા વચ્ચે પણ વિકસેલી વિરાસતની માહિતી મેળવી.

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ગુરૂદેવ ટાગોરે સ્થાપેલાં શાંતિ નિકેતન અને કર્ણાટક સ્થિત હોથસલ મંદિરોને યુનેસ્કોએ વિશ્વ વિરાસતમાં સ્થાન આપ્યું તે ઘણું ગર્વની વાત છે. દેશમાં આવાં ૪૨ સ્થાનો છે. જૈન વિશ્વ વિરાસત તરીકે જાહેર કરાયાં છે.

૨ ઓક્ટોબરના દીવસે આવનારી ગાંધી જયંતિ પ્રસંગે કેન્દ્ર સરકારે રેખાંકિત કરેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સાથ આપવા સૌ કોઇને અનુરોધ કરતાં તેઓએ કહ્યું હતું કે તે કાર્યક્રમ ૧લી ઓક્ટો. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે તેમાં સૌ ભાગ લેવાનું ચુકશો નહીં. ખાદીની કોઇને કોઇ વસ્તુ ખરીદશો તો તે ગાંધીજીને આપેલી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. સાથે સ્વદેશી ચીજો અપનાવો, વોકલ ફોર લોકલનું સુત્ર યાદ રાખજો. આગામી પર્વના દીવસોમાં મેઇડ-ઇન-ઇંડીયા ઉત્પાદનો ખરીદવાનું ભૂલશો નહીં. તેમ પણ વડાપ્રધાને મન કી બાતમાં કહ્યું હતું.



Google NewsGoogle News