ભારતીય વિદેશ મંત્રાલયે ફરી કેનેડાને લીધું આડે હાથ, કહ્યું ‘ભારતમાં કેનેડાના રાજદ્વારીઓ વધુ, તેઓ આંતરિક બાબતોમાં...’
ભારતમાં હાલ જેટલા 62 રાજદ્વારીઓ હાજર જે જરૂરિયાત કરતા વધારે છે
India Canada Row : ભારત અને કેનેડા વચ્ચે તણાવપૂર્ણ સંબંધ જોવા મળે છે. ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું એક નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં જરૂરિયાતથી વધુ કેનેડિયન રાજદ્વારીઓની હાજરી છે જેને સંતુલન કરવું જરૂરી છે.
કેનેડિયન રાજદ્વારી દ્વારા આંતરિક બાબતોમાં દખલ : અરિંદમ બાગચી
અરિંદમ બાગચીએ વાતચીતમાં જણાવ્યું કે, કેનેડિયન રાજદ્વારી દ્વારા ભારતની આંતરિક બાબતોમાં પણ દખલ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે. આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.તેમણે કહ્યું કે, અમારું ધ્યાન કેનેડાની રાજદ્વારી હાજરીમાં સમાનતા સુનિશ્ચિત કરવા પર છે. આ અગાઉ પણ ભારતે 21 સપ્ટેમ્બરે કેનેડાને રાજદ્વારીઓ ઘટાડવા માટે કહ્યું હતું.
ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ
થોડા દિવસ પહેલા જ ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો હતો. આ મામલે રીપોર્ટ તો એવું પણ કહી રહ્યા હતા કે, મોદી સરકારે 40 કેનેડિયન રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો હતો. હાલમાં ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ કામ કરે છે.