‘INDIA’ ગઠબંધનની બેઠક પૂર્ણ, સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં 22 ડિસેમ્બરે દેખાવો, ખડગેની જાહેરાત
બેઠકમાં ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષા ચૂક, સાંસદોને સસ્પેન્ડ કરવાની બાબતો પર થઈ ચર્ચા
PM પદના ઉમેદવાર બનાવવાના પ્રસ્તાવ પર ખડગેએ કહ્યું, પહેલા ચૂંટણી જીતવા પર ધ્યાન આપવું જોઈએ
Updated: Dec 19th, 2023
INDIA Alliance Meeting : નવી દિલ્હીના અશોક હોટલમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક સમાપ્ત થઈ છે. બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં સુરક્ષામાં ચુક, સંસદની શિયાળુ સત્રમાં વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ચર્ચા થઈ છે. ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા થઈ છે. બેઠકમાં નીતીશ કુમારે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો ઈન્કાર કરી દીધો છે, તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે, જોકે આ પ્રસ્તાવ અંગે ખડગેએ કહ્યું કે, પહેલા ચૂંટણી જીતવા પર ધ્યાન આપવું જોઈએ.
• ગઠબંધનના કન્વીનર અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહીં : કેજરીવાલ
બેઠક અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બેઠક સારી રીતે યોજાઈ... આગામી સમયમાં સીટ શેરિંગ પર પણ ચર્ચા થશે. હવે ઝુંબેશ શરૂ થશે.' તેમણે એમ પણ કહ્યું કે, ગઠબંધનના કન્વીનર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
#WATCH | On the INDIA Alliance meeting, Delhi CM Arvind Kejriwal says, "The meeting was good. The campaigning, seat sharing and everything will begin soon. No (convenor hasn't been selected) yet." pic.twitter.com/d5r0nlvB6K
— ANI (@ANI) December 19, 2023
• સીટ વહેંચણી મુદ્દે સ્ટાલિને કહ્યું ‘રાજ્યની મોટી પાર્ટીએ નેતૃત્વ કરવું જોઈએ’
બેઠક બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને સીટ શેરિંગને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દરેક રાજ્યમાં સૌથી મોટી પાર્ટીએ નેતૃત્વ કરવું જોઈએ. ઉપરાંત બેઠકમાં EVM પર પણ ચર્ચા થઈ છે. આ મુદ્દે એક પ્રસ્તાવ પસાર કરાયો છે કે, ચૂંટણી પંચ પાસે માંગ કરાશે કે VVPATને બેલેટ પેપર તરીકે ગણવામાં આવે. ગઠબંધનના નેતાઓ આ અંગે ચૂંટણી પંચને આવેદનપત્ર પાઠવશે.
• સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં દેખાવો કરાશે : ખડગે
ખડગેએ કહ્યું કે, ગઠબંધનની ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો હતો. દેશમાં 8થી 10 બેઠકો યોજવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, અમે પ્રસ્તાવ પાસ કર્યો છે કે, લોકતંત્રને બચાવવું હોય તો તમામે સાથે મળીને લડવું પડશે. સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે દેશભરમાં 22 ડિસેમ્બરે દેખાવો કરાશે.
• દિલ્હી-પંજાબમાં પણ થશે ગઠબંધન : ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, બેઠકમાં સીટ શેરિંગનો પ્રસ્તાવ મુકાયો છે. તેમણે કહ્યું કે, તમામ લોકો મળીને કામ કરશે અને સીટ શેરિંગ મામલે જે રાજ્યોમાં અમારા લોકો છે, તેઓ એકબીજા સાથે સમજુતી કરશે. તેમણે કહ્યું કે, જો સમજુતી નહીં સધાય તો ત્યાં ઈન્ડિયા ગઠબંધનના લોકો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે, બેઠક વહેંચણી મામલે રાજ્યસ્તરે ચર્ચા કરાશે. વિવાદની સ્થિતિમાં ગઠબંધનના મોટા નેતા તેનો નિવેડો લાવશે. તેમણે કહ્યું કે, દિલ્હી, પંજાબમાં પણ ગઠબંધન કરાશે અને સમસ્યાનું સમાધાન લવાશે.
• સિટ શેરિંગનીની કામગીરી ટુંક સમયમાં પુરી કરાશે : TMC-SP
બેઠકમાં ટીએમસીએ ગઠબંધનની ઘણા પક્ષો સાથે મળીને તમામ સિટ શેરિંગની પર વાતચીત પૂરી કરી લીધી છે. સિટ શેરિંગનીની કામગીરી 31 ડિસેમ્બર સુધીમાં પુરી કરવાનો પણ સમય નક્કી કરાયો છે. તો બેઠક બાદ સમાજવાદી પાર્ટીના અધ્ક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલ યાદવે બેઠક વહેંચણી મુદ્દે કહ્યું કે, તમામ પક્ષો વહેલીતકે સિટ શેરિંગ કરી મેદાનમાં જવા તૈયાર છે. ટુંક સમયમાં બેઠકની વહેંચણી કરી દેવાશે.
• બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા ? ખડગેએ આપ્યો જવાબ
બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બેઠકમાં અમે 2થી 3 કલાક સુધી વિચાર-વિમર્શ કર્યો અને રણનીતિ પર સહમત થયા છીએ. ઉપરાંત 149 સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે, જેની અમે નિંદા કરી છે. અમે એક પ્રસ્તાવ પણ પાસ કર્યો છે, જે અલોકતાંત્રિક છે.
• બેઠકમાં સામેલ થયા આ નેતાઓ
દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ડીએમકે નેતા, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, એનસીપીના વડા શરદ પવાર, આરએલડી નેતા જયંત ચૌધરી, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. જ્યારે ઝારખંડના મુખ્યંત્રી હેમંત સોરેન વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયા હતા.
• કોંગ્રેસે બનાવી 5 સભ્યોની સમિતિ
ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024ને ધ્યાને રાખી 5 સભ્યોની નેશનલ એલાયન્સ સમિતી બનાવી છે, જેમાં અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશને સભ્ય બનાવાયા છે, ત્યારે મુકુલ વાસનિકને સમિતિના સંયોજક બનાવાયા છે.
• બેઠક પહેલા ઉદ્ધવ ઠાકરેનો ‘સામના’માં INDIA ગઠબંધન પર વ્યંગ
બેઠક અગાઉ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુખપત્ર ‘સામના’માં ઈન્ડિયા ગઠબંધન પર વ્યંગ કર્યો હતો. તંત્રીલેખ દ્વારા શિવસેનાના ઉદ્ધવ જૂથે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "જો 'I.N.D.I.A' ગઢબંધનને મોદી-શાહનો સામનો કરવો હોય તે ગઠબંધનનો રથ ખેચવા માટે એક સારથિની જરૂર છે. કોંગ્રેસે 'I.N.D.I.A' ગઢબંધનના રૂપમાં ગઢબંધનનું મહત્વ શીખવુ જોઈએ. આજે રથમાં 27 ઘોડા છે, પરંતુ તેનો સારથિ કોઈ નથી, જેના કારણે રથ થંભી ગયો છે. 'I.N.D.I.A' ગઢબંધનને સંયોજક, સમન્વયક, આમંત્રિતની જરૂર છે, પછી ભલે ગમે તે હોય. એવા સમન્વયકની જરૂર નથી અને જો કોઈ કહે કે, સંજોગોમાં 'અમે ચલાવી લઈશું' તો તે 'I.N.D.I.A'ને નુકસાન કરી રહ્યું છે. હવે સારથિની જાહેરત કરવી પડશે. આજે બેઠકમાં નિર્ણય લીધા બાદ જ આગળનું પગલું ભરવાનું રહેશે.