લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ મુશ્કેલીમાં, આવકવેરા વિભાગે રૂ. 135 કરોડનો ટેક્સ વસૂલ્યો
Lok Sabha Elections 2024: આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી 135 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. અહેવાલો અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ રૂપિયાના ઉપયોગને કારણે કોંગ્રેસ પાસેથી આ આવકવેરો વસૂલવામાં આવ્યો હતો. રોકડના ઉપયોગને કારણે કોંગ્રેસે વર્ષ 2018-19માં આવકવેરા છૂટ ગુમાવી દીધી હતી. કોંગ્રેસ પાસેથી રૂ. 135 કરોડની ટેક્સ કલેક્શન આવકવેરા કાયદાની જોગવાઈઓ અનુસાર છે. એપ્રિલ 2019માં સર્ચ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી વાંધાજનક સામગ્રીના આધારે ચૂંટણી પ્રક્રિયામાં રોકડ રૂપિયોનો ઉપયોગ બહાર આવ્યો હતો.
જાણો શું છે મામલો
સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસનું એસેસમેન્ટ સાત વર્ષ (2014-15થી 2020-21 સુધી) માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2021માં કોંગ્રેસ પાસેથી ટેક્સની માગ કરવામાં આવી હતી. તેમજ આવકવેરો ભરવા માટે અનેક વખત પત્રો મોકલવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી મુલતવી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. એસેસમેન્ટ ઓર્ડરના 33 મહિના અને આવકવેરા કમિશનરના આદેશના 10 મહિના પછી પણ કોંગ્રેસ દ્વારા આવકવેરો ચૂકવવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વિભાગે આવકવેરા કાયદાની કલમ 226 (3) હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી.
કોંગ્રેસ પાસેથી કેટલી વસૂલાત કરવામાં આવી
કાયદાકીય જોગવાઈઓ અનુસાર, કોંગ્રેસ પાર્ટી પાસેથી આશરે રૂ. 135 કરોડની બાકી વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી પર સ્ટે માગતી અરજીને ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) અને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ પછી આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અનુસાર 135 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે પાંચ અલગ-અલગ નાણાકીય વર્ષના ટેક્સ રિટર્નમાં ભૂલો બદલ 1823.08 કરોડ રૂપિયાની ચુકવણી માટે નવી નોટિસ આપી હતી.
ભાજપ પર 4600 કરોડ રૂપિયાનો દંડ!
કોંગ્રેસે દાવો કર્યો છે કે આવકવેરા વિભાગે ભાજપ પ્રત્યે આંખો બંધ કરી દીધી છે. ભાજપને રૂ. 4600 કરોડના દંડનો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ પર 'ટેક્સ ટેરરિઝમ' દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો કે, 'જે માપદંડના આધારે કોંગ્રેસને દંડની નોટિસ આપવામાં આવી છે તેના આધારે ભારતીય જનતા પાર્ટી પાસેથી 4600 કરોડ રૂપિયાથી વધુની ચુકવણીની માંગણી કરવી જોઈએ.'