મણિપુરમાં સતત બીજા દિવસે હિંસા, પાંચ જવાનો ઘાયલ
- ઉગ્રવાદીઓનો બીએસએફ, પોલીસ પર હુમલો
- સોમવારે ડ્રગ્સ તસ્કરીના રૂપિયાના વિવાદમાં ઉગ્રવાદીઓએ ચારની હત્યા કરી હોવાનો દાવો
ઇમ્ફાલ : મણિપુરમાં થોડા દિવસોની શાંતિ બાદ ફરી હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી છે. સોમવારે હિંસાની એક ઘટનામાં ચાર લોકો માર્યા ગયા હતા, ત્યારે હવે મંગવારે બીએસએફ અને પોલીસના જવાનો પર હુમલો થયો હતો. જેને કારણે પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.
મ્યાંમાર સરહદ નજીક મોરેહ વિસ્તાર તરફ જઇ રહેલા પોલીસ અને બીએસએફના કાફલા પર ઘાત લગાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસના ચાર કમાન્ડો અને બીએસએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થતા આસામ રાઇફલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે ચાર નાગરિકો માર્યા ગયા હતા, આ ઘટના લિલોંગ ચિંગજાવ વિસ્તારમાં બની હતી. જોકે આ ઘટના પાછળનું કારણ જાતિય હિંસા નહીં પણ અન્ય હોવાનો પ્રશાસને દાવો કર્યો છે. આ હુમલો ઉગ્રવાદીઓ દ્વારા કરાયો હતો. જેમાં ચાર ગ્રામીણ માર્યા ગયા હતા. હવે પ્રશાસને દાવો કર્યો છે કે ડ્રગ્સના રૂપિયાને લઇને બે જુથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ગેરકાયદે ડ્રગ્સ તસ્કરીથી જે રૂપિયા એકઠા કરાયા હતા તે મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં સ્થિતિને શાંત પાડવામાં આવી છે. મુખ્યમંત્રી બિરેનસિંઘે બેઠક બોલાવી હતી. જે બાદ તેમણે કહ્યું હતું કે જે પણ લોકો જવાબદાર હશે તેમની સામે આકરા પગલા લેવાશે.