પાલઘરની એક સરકારી સ્કુલમાં બાળકો રમતા હતા પાના, તપાસના અપાયા આદેશ
બાળકો સ્કૂલની લોબી આસપાસ ધમાલ મસ્તી કરતા હતા
પ્રાથમિક માહિતી અનુસાર શિક્ષકની સ્કૂલમાં હાજરી ન હતી
પાલઘર, 3 ઓકટોબર, 2023, મંગળવાર
બાળકોને જુગાર અને પાનાની લત ના લાગે તે માટે સ્કૂલમાં કેળવણી આપવામાં આવતી હોય છે. નાનપણમાં જે લત લાગે તે આગળ જતા જોખમી બની જતી હોય છે. મહારાષ્ટ્રના પાલઘરના તલાસરીની એક જિલ્લા પરિષદ સ્કૂલમાં બાળકો પત્તા રમતા સોશિયલ મીડિયામાં પ્રસારિત થયા હતા. ત્યાર બાદ સમગ્ર મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ઘટના અંગે ઝડપથી અહેવાલ રજૂ કરવામાં આવશે પરંતુ બહાર આવેલી પ્રાથમિક માહિતી અનુસાર શિક્ષકની સ્કૂલમાં હાજરી ન હતી આ દરમિયાન બાળકો સ્કૂલની લોબી આસપાસ ધમાલ મસ્તી કરતા હતા અને કેટલાકે પાનાથી રમવાનું શરુ કર્યુ હતું. આ સ્કૂલમાં 100 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આટલી સંખ્યામાં બાળકો છતાં એક જ શિક્ષક ભણાવતા હતા. આ શિક્ષકને પણ 150 રુપિયાના રોજિંદા પગારથી નોકરીએ રાખવામાં આવ્યો હતો પરંતુ એ દિવસે શિક્ષક શાળામાં હાજર નહી હોવાથી બાળકોને ફાવતું મેદાન મળી ગયું હતું.