પતિએ વારાણસીમાં ફાંસો ખાધો તો પત્ની ગોરખપુરમાં ધાબા પરથી કૂદી ગઈ, મોતનું કારણ બેરોજગારી?

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
પતિએ વારાણસીમાં ફાંસો ખાધો તો પત્ની ગોરખપુરમાં ધાબા પરથી કૂદી ગઈ, મોતનું કારણ બેરોજગારી? 1 - image


Image: Freepik

Uttar Pradesh Suicide Case: ઉત્તર પ્રદેશના વારાણસીમાં બેરોજગારીથી કંટાળી ચૂકેલા એક યુવકનો સુસાઈડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલે પતિએ વારાણસીમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી તો બીજી તરફ પતિના મોતના સમાચાર સાંભળ્યા બાદ પત્નીએ ગોરખપુરમાં ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. સુસાઈડ કરનાર પતિ-પત્ની સ્કુલ ટાઈમથી જ એકબીજાના પ્રેમમાં હતાં અને બંનેએ બાદમાં લગ્ન પણ કરી લીધા હતા. દંપતીની આત્મહત્યા બાદથી બંને પરિવારોમાં શોક પ્રસરી ગયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર પટનાના રહેવાસી હરીશ બગેશ (28) અને ગોરખપુરની રહેવાસી સંચિતા શ્રીવાસ્તવ એક જ સ્કુલમાં અભ્યાસ કરતાં હતાં. હરીશ અને સંચિતા 11માં ધોરણથી જ એકબીજાને પસંદ કરતાં હતાં. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં. જોકે, લગ્નને લઈને બંને પરિવારમાં મંજૂરી નહોતી. લગ્ન બાદથી જ દંપતી મુંબઈમાં રહીને નોકરી કરતાં હતાં પરંતુ સંચિતાની તબિયત ખરાબ થયા બાદ તેના પિતા તેને લઈને ગોરખપુર આવી ગયાં હતાં જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. હરીશ પણ મુંબઈમાં પોતાની બેન્કની નોકરી છોડીને ગોરખપુર આવી ગયો હતો.

હરીશને શોધતાં હોમ સ્ટે પહોંચ્યા સંબંધીઓ

બે દિવસ પહેલા જ હરીશ ગોરખપુરથી પટના જવાની વાત કહીને નીકળ્યો હતો, પરંતુ તે વારાણસી આવી ગયો હતો. તે સારનાથ વિસ્તારના અટલ નગર કોલોનીમાં એક હોમ સ્ટેમાં રોકાયો હતો. હોમ સ્ટે સંચાલકે જણાવ્યું કે 7 જુલાઈની સવારે હરીશના અમુક સંબંધીઓ તેને શોધતાં હોમ સ્ટે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે હરીશ ફોન ઉઠાવી રહ્યો નથી. તે બાદ તમામ હરીશના રૂમ સુધી પહોંચ્યા. રૂમ અંદરથી બંધ હતો. બારીમાંથી હરીશ ગળેફાંસો ખાધેલો જોવા મળ્યો.  

સંચિતાએ ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી

હરીશને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈને સંબંધીઓએ તેની માહિતી તાત્કાલિક પોલીસને આપી દીધી. હરીશને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી દીધો. જ્યારે આ વાત ગોરખપુરમાં પોતાના પિતા રામશરણ શ્રીવાસ્તવના ત્યાં રહેતી સંચિતાને ખબર પડી તો તેણે ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. સારનાથ પોલીસના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ દ્વારા હરીશની ઓળખ થઈ ગઈ છે. તેના પિતાનું નામ રામાસ્વામી માલવીય છે.

પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી

પોલીસે હરીશના મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જોકે ઘટના સ્થળેથી કોઈ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે નોકરી જતી રહ્યાં બાદ હરીશ ડિપ્રેશનમાં રહેતો હતો. તેને નશા કરવાની લત પણ લાગી ગઈ હતી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.


Google NewsGoogle News