પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન
Pakistani Air Space Block : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા હતા. ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે. અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી અને ભારતમાં રહેતા નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે. ઉતાવળમાં ભારતનું અનુકરણ કરીને પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરી દીધી અને શિમલા સંધિ રદ કરી છે. તેવામાં ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાને એર સ્પેસ પણ બંધ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરાયું છે, ત્યારે ભારતીય એરલાઈન્સે નોટિફિકેશ જારી કર્યું છે અને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે કોઈ અન્ય રૂટથી આવવું પડશે. ફ્લાઇટ્સમાં વિલંબ થશે અને વિમાનના આવનગમનમાં ફેરફાર થશે. ચાલો જાણીએ કે કયા રૂટ માટે ભાડા મોંઘા હોઈ શકે છે.
હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા
પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી ભારતથી યુરોપ, ઉત્તરી અમેરિકા અને મધ્ય પૂર્વ માટે ફ્લાઈટ્સના ટાઈમિંગ, રૂટ અને ભાડાને અસર થશે. એરલાઇન અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'હાલના ધોરણે વૈકલ્પિક હવાઈ માર્ગોની તપાસ શરૂ છે. દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય જગ્યાએથી યુરોપ અને ઉત્તરી અમેરિકા માટે જનારી ફ્લાઈટ્સમાં ખામી જોવા મળી શકે છે. આ ઉપરાંત મધ્ય પૂર્વ તરફ ઉડાન ભરતાં વિમાનો પણ પ્રભાવિત થશે. સંચાલન ખર્ચમાં વધારાને કારણે હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા છે.'
સમગ્ર મામલે Indigo અને એર ઈન્ડિયાએ મુસાફરોને પહેલાથી આની જાણકારી આપી દીધી છે અને સોશિયલ મીડિયા માધ્યમ 'x' પર પોસ્ટ કરીને કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને 'વૈકલ્પિક લાંબા રૂટ' લેવાને કારણે ફેરફારનો સામનો કરવો પડશે.
2019માં શું થયું હતું?
નોંધનીય છે કે, 2019માં એરસ્પેસ બંધ થવાને કારણે એરલાઇન્સને લગભગ 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેમાં મુસાફરોને 8% થી 40% સુધીના ભાડામાં વધારો સહન કરવો પડ્યો હતો. દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય હબથી સંચાલિત ફ્લાઇટ્સ ખાસ કરીને પ્રભાવિત થવાની ધારણા છે. કારણ કે તેમને પશ્ચિમ તરફ જતા પહેલા ગુજરાત અથવા મહારાષ્ટ્ર થઈને તેમના રૂટ લંબાવવા પડશે. જેના કારણે મુસાફરોને અસુવિધા થશે અને એરલાઇન્સ માટે કાર્યકારી તણાવ વધશે.
અકાશા એરે શું કહ્યું?
અકાશા એરે કહ્યું હતું કે, 'પાકિસ્તાન એરસ્પેસ પરથી પસાર થતાં ફ્લાઈટ્સનો રૂટ બદલવાનો નિર્ણય લીધો છે. અમે આશા છે કે, અમારી કામગીરી પર કોઈ ખાસ અસર નહી પડે અને જેના કારણે અમારા મુસાફરોને કોઈ પ્રકારની અસુવિધા નહી થાય.'
રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત રહેશે
જમ્મુ-કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરાયું છે, ત્યારે હવે દિલ્હી એરપોર્ટ અને એર ઇન્ડિયા પર સૌથી વધુ અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈને ગુજરાતના રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત કરવાની પરવાનગી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાને ભારતના વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું હોવાથી ભારતીય એરલાઇન્સે ટાઈમ ટેબલ અનુસરવા અને રદ કરવાને લઈને પ્રયાસો શરૂ કરી દીધા છે.