જીતની હેટ્રિક લગાવનારા દિગ્ગજ નેતા પર કઈ રીતે ભારે પડ્યા સિરિયલના રામ? જાણો ભાજપની વ્યૂહનીતિ

મેરઠમાં સતત ત્રણ વખત જીતેલા રાજેન્દ્ર અગ્રવાલની જગ્યાએ રામાયણના રામ અરુણ ગોવિલને લોકસભાની ટિકિટ આપી

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
જીતની હેટ્રિક લગાવનારા દિગ્ગજ નેતા પર કઈ રીતે ભારે પડ્યા સિરિયલના રામ? જાણો ભાજપની વ્યૂહનીતિ 1 - image


Lok Sabha Elections 2024: ભાજપે આખરે મેરઠમાં સતત ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા રાજેન્દ્ર અગ્રવાલની ટિકિટ રદ કરી છે અને ટીવી સિરિયલ રામાયણના રામ અરુણ ગોવિલને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે અરુણ ગોવિલનું નામ લગભગ ત્રણ અઠવાડિયાથી ચર્ચામાં હતું, પરંતુ રાજેન્દ્ર અગ્રવાલને લઈને સ્થાનિક નેતાઓનું સતત દબાણ હતું. સવાલ એ છે કે હેટ્રિક કરનાર રાજેન્દ્ર અગ્રવાલની જગ્યાએ અરુણ ગોવિલને શા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા! જો કે આ બદલાવમાં અહીં પણ જ્ઞાતિને સંપૂર્ણ ધ્યાને લેવામાં આવી છે. અરુણ ગોવિલ પણ અગ્રવાલ જ છે.

અરુણ ગોવિલનો મેરઠ સાથે છે ઊંડો સંબંધ 

ટીવી સિરિયલ રામાયણના રામ અરુણ ગોવિલનો મેરઠ સાથે ઊંડો સંબંધ છે. અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી 1952ના રોજ મેરઠના એક અગ્રવાલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્રપ્રકાશ ગોવિલ હતું. તેમના પિતા મહા નગરપાલિકાના વોટર વર્કસ વિભાગમાં એન્જિનિયર હતા. અરુણની માતાનું નામ શારદા દેવી હતું. શારદા દેવી ગૃહિણી હતી.

પિતાની ઈચ્છા હતી કે તેઓ સરકારી નોકરી કરે 

અરુણ ગોવિલને પાંચ ભાઈ અને બે બહેનો હતી. અરુણે મેરઠ કોલેજ અને મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તે પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયા. અરુણ ગોવિલ તેના મોટા ભાઈ વિજય ગોવિલ સાથે લાંબા સમયથી મુંબઈમાં રહેતા હતા. તેની પાસે તેની કારકિર્દી બનાવવાનો સમય હતો. અરુણ પાસે બે વિકલ્પ હતા, પહેલો વિકલ્પ તેના ભાઈને તેના ધંધામાં મદદ કરવાનો હતો. તેમની પાસે ઉપલબ્ધ બીજો વિકલ્પ તેમની ભાભી તબસ્સુમની જેમ કલાના ક્ષેત્રમાં આગળ વધવાનો હતો. આ રસ્તો મુશ્કેલ હતો, પરંતુ અરુણ ગોવિલે આ રસ્તો પસંદ કરવાનું યોગ્ય માન્યું.

રામાનંદ સાગરે રામાયણ માટે કરી તેમની પસંદગી 

તેમની ભાભી તબસ્સુમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું. તબસ્સુમે વર્ષો સુધી બોલિવૂડમાં યોગદાન આપ્યું. કૌટુંબિક સંબંધો ઉપરાંત કલા ક્ષેત્રે પણ તેમનો અને તબસ્સુમનો ગાઢ સંબંધ હતો. ઘણી ફિલ્મો પછી, રામાનંદ સાગરે ટીવી સીરિયલ રામાયણમાં 'રામ'ના રોલ માટે અરુણ ગોવિલને પસંદ કર્યા. તે પછી તેઓ રામાયણના રામ તરીકે પ્રખ્યાત થયા.

રાજેન્દ્ર અગ્રવાલે 2009માં ભાજપને અપાવી જીત 

વર્ષ 2009માં ભાજપે બસપા પાસેથી આ સીટ છીનવી લીધી જેનો શ્રેય રાજેન્દ્ર અગ્રવાલને જાય છે. શાહિદ અખલાક 2004માં બસપા તરફથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009માં ભાજપે પ્રબુદ્ધ સેલના રાજ્ય કન્વીનર રાજેન્દ્ર અગ્રવાલને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ત્યારબાદ રાજેન્દ્ર અગ્રવાલે શાનદાર જીત નોંધાવી અને ભાજપને જીત તરફ દોરી.

રાજેન્દ્ર અગ્રવાલે લગાવી હતી જીતની હેટ્રીક

ત્યારબાદ 2014માં પણ ભાજપે રાજેન્દ્ર અગ્રવાલ પર વિશ્વાસ દર્શાવીને તેમને ટિકિટ આપી હતી. તે બીજી વખત પણ જીત્યા હતા. 2019માં ભાજપે રાજેન્દ્ર અગ્રવાલને ત્રીજી વખત મેદાનમાં ઉતાર્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપ અને SP-BSP ગઠબંધન વચ્ચે જોરદાર મુકાબલો હતો. આ પછી પણ રાજેન્દ્ર અગ્રવાલ પાંચ હજાર મતોની સરસાઈથી ચૂંટાયેલા જાહેર થયા હતા. હવે, 2024ની ચૂંટણીમાં રાજેન્દ્ર અગ્રવાલની જગ્યાએ ભાજપે ટીવી સીરિયલ રામાયણના 'રામ' અરુણ ગોવિલને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

જીતની હેટ્રિક લગાવનારા દિગ્ગજ નેતા પર કઈ રીતે ભારે પડ્યા સિરિયલના રામ? જાણો ભાજપની વ્યૂહનીતિ 2 - image


Google NewsGoogle News