વિદેશમંત્રી એસ.જયશંકરના જીવને ખતરો, ગુપ્ત એજન્સીના રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયે આપી Z કેટેગરીની સુરક્ષા
વિદેશમંત્રી જયશંકરની સુરક્ષામાં CRPFના 36 કમાન્ડો તૈનાત કરાશે
ખાલિસ્તાની-ઈઝરાયેલ મુદ્દાને ધ્યાને લઈ ગૃહમંત્રાલયે સુરક્ષા વધારી
નવી દિલ્હી, તા.13 ઓક્ટોબર-2023, શુક્રવાર
વિદેશમંત્રી એસ.જયશંકર (S.Jaishankar)ના જીવને ખતરો હોવાનું સામે આવ્યા બાદ ગૃહમંત્રાલયે (Home Ministry) તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ જયશંકરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિદેશમંત્રીની સુરક્ષાને ધ્યાને લઈ ગૃહમંત્રાલયે તેમની સુરક્ષામાં વધારો કરી Z શ્રેણીની સુરક્ષા કરી દીધી છે. હવે તેમની સુરક્ષામાં CRPFના 36 કમાન્ડો તૈનાત કરવામાં આવશે.
ખાલિસ્તાની-ઈઝરાયેલને ધ્યાને રાખી સુરક્ષા વધારાઈ
વિદેશમંત્રી જયશંકરને અગાઉ Y કેટેગરીની સુરક્ષા અપાઈ હતી. ખાલિસ્તાની (Khalistan Controversy) આતંકવાદીઓની વધતી ગતિવિધિના કારણે વિદેશમંત્રી પર ખતરો હોવાનું ધ્યાને લઈ તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. ગત દિવસોમાં હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયેલ (Israel-Hamas War)ને ભારતે સમર્થન આપ્યું છે.
ગૃહ મંત્રાલયે આપી Z કેટેગરીની સુરક્ષા
વિદેશમંત્રી એસ.જયશંકરના જીવને ખતરો હોવાનું ધ્યાને રાખી ગૃહ મંત્રાલયે Z કેટેગરીની સુરક્ષા આપી છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં બોલવૂડ સ્ટાર, નેતા, બિઝનેસમેન સહિત ઘણા દિગ્ગજોને 5 શ્રેણી X, Y, Y+, Z અને Z+માંથી કોઈ એક સુરક્ષા પુરી પાડવામાં આવતી હોય છે, જેનો નિર્ણય ગૃહમંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. ગૃહમંત્રાલય તેમની સુરક્ષા પર ખેતરો ખતરો છે, તે બાબતોનું ધ્યાન રાખી સુરક્ષા કેટેગરી નક્કી કરે છે.